દરેડમાં 2000 પરિવારો નોંધારા બનવાની ભીતિ

- રહેણાંકનો એક માત્ર આશરો ન છીનવવા વ્યાજબી ફી
- દંડ વસૂલી મકાન નિયમિત કરવા માંગણી કરાઇ
- સરકારી જમીનમાં બનાવાયેલા મકાનો તોડાશે તો હજારો લોકો કયાં જશે ?
જામનગરના દરેડ ગામે સરકારી જમીનમાં ખડકાયેલા રહેણાંક મકાનો દૂર કરવા તંત્રએ નોટિસ ફટકારી છે. આ સ્થિતિમાં આ જમીનમાં ગેરકાયદે રહેણાંક મકાનો બનાવી રહેતા આસામીએ રાજયમંત્રીને આવેદન પાઠવ્યું છે. જેમાં રહેણાંક મકાનો તોડાશે તો ૨૦૦૦ પરિવાર નોધારા બનશે. માટે એકમાત્ર આશરો ન છીનવવા વ્યાજબી ફી, દંડ વસૂલી નિયમિત કરી આપવા માંગણી કરી છે.
રહેવાસીઓએ કોંગ્રેસના આગેવાનો સાથે મંત્રીને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, દરેડ ગામમાં રે.સ.નં.૧૩૧, ૧૩૨માં ન્યુ દરેડ નોન ટ્રેડીંગ કોર્પોરેશન (સુચિત)માં એક દાયકા કરતા વધુ સમયથી ગરીબ-શ્રમિક પરિવારો મકાનનું બાંધકામ કરી કુલ ૧૭૧ પ્લોટમાં બે હજારથી વધુ પરિવારો વસવાટ કરી રહ્યા છે.
હવે તંત્ર દ્વારા જાહેર નોટીસ આપી આ તમામ બાંધકામો દૂર કરવા સૂચના આપવામાં આવી છે. આથી અસરગ્રસ્તોએ મહાનગર પાલિકાનાં વિપક્ષના પૂર્વ નેતા અલ્તાફ ખફીની આગેવાનીમાં સર્કિટ હાઉસમાં રાજય સરકારના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાને આવેદનપત્ર પાઠવી પાડતોડ નહીં કરવા માંગણી કરી હતી. સાથે સાથે આ પરિવારોનો એકમાત્ર આશરો ન છીનવાય તે માટે વાજબી પેલ્ટી, દંડ વસુલી તમામ બાંધકામો નિયમિત કરી આપવા માંગણી કરી છે.
– રોહિત મેરાણી (જામનગર)