બનાસકાંઠા જિલ્લાના તાલુકા માટે આરોગ્ય ટીમ બનાવાઇ

કોરોના વાયરસની સંભવિત ત્રીજી લહેર આવે તો તે સમયે પહોંચી વળવા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દીધી છે. વૈજ્ઞાનિકો અને ડોકટરોના મંતવ્યો અનુસાર કોરોના વાયરસની સંભવિત ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થવાનું જોખમ વધુ છે ત્યારે આ વાયરસની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય વિભાગે અગમચેતી વ્યાપક તૈયારીઓ શરૂ કરી દીધી છે.
બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલના વડપણ હેઠળ જિલ્લા આરોગ્ય વિભાગ દ્રારા કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટે જિલ્લાના તમામ ૧૪ તાલુકા માટે આરોગ્યની ૧૪ ટીમો બનાવી તાલીમ આપવાની શરૂ કરી દેવાઈ છે. જેમાં એક ટીમમાં ૩ ડોકટરો અને ૨ સ્ટાફ નર્સ બહેનો કુલ-૫ આમ જિલ્લા તમામ ૧૪ તાલુકાઓ દીઠ પાંચ જણની ટીમ બનાવી તેમને તાલીમ આપવામાં આવી રહી છે. આમ જિલ્લામાં કુલ-૭૦ આરોગ્ય વિભાગના કર્મયોગીઓને તાલીમ બધ્ધ કરવામાં આવી રહ્યા છે. જેમને બે બેંચમાં તાલીમ આપવામાં આવી રહી છે. પ્રથમ બેંચ ૧ જુન અને બીજી બેંચ ૨ જુન ૨૦૨૧ થી શરૂ કરવામાં આવી છે. આ તમામ ટીમોને પાલનપુર સિવિલ હોસ્પિટલના પિડિયાટ્રિશ્યન ડૉ. હિના દેસાઈ અને બનાસ મેડીકલ કોલેજના પિડિયાટ્રિશિયન ડો.અંજુમ દ્વારા તાલીમ આપી કોરોના વાયરસની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા આ સ્ટાફને તૈયાર કરવામાં આવી રહ્યો છે તેમ બનાસકાંઠા જિલ્લા એપેડેમીક મેડીકલ ઓફીસર ડો. એન. કે. ગર્ગે જણાવ્યું છે.
રિપોર્ટ: જનકસિહ વાઘેલા થરાદ