નરેન્દ્ર મોદી આજે ડિજિટલ ચૂકવણી માટે ઇ-રૂપીનો કરશે પ્રારંભ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ડિજિટલ ચૂકવણી માટે ઇ-રૂપીનો પ્રારંભ કરશે. ઇ-રૂપી ચૂકવણી માટે કેશલેસ અને સંપર્કરહિત માધ્યમ છે, એમ પીએમઓએ જણાવ્યું હતું.
છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન ઇચ્છિત લાભાર્થીઓ સુધી લાભ પહોંચાડવાનું સુનિશ્ચિત કરવા માટે કેટલાય કાર્યક્રમ શરુ કરવામાં આવ્યા હતા. ઉદાહરણ તરીકે જોઈએ તો કેશલેસ ટ્રાન્સફર. ગેસની સબસિડીને કેશલેસ ટ્રાન્સફર કરવામાં આવતી હતી. આના લીધે લાભાર્થી અને સરકાર વચ્ચે સંપર્ક પણ ડિજિટલ માધ્યમથી થતો હતો અને કોઈ માનવીય સંપર્ક આવતો ન હતો. આમ ઇલેક્ટ્રોનિક વાઉચરની આ નવી પહેલ અને આ નવો અભિગમ આ દ્રષ્ટિકોણને આગળ લઈ જશે.
• તે ક્યુઆર કોડ કે એસએમએસ સ્ટ્રિંગ આધારિત ઇ-વાઉચર છે
ઇ-રૂપી વાસ્તવમાં ડિજિટલ ચૂકવણી માટે કેશલેસ માધ્યમ છે. તે ક્યુઆર કોડ કે એસએમએસ સ્ટ્રિંગ આધારિત ઇ-વાઉચર છે, જેને લાભાર્થીઓના મોબાઇલ પર પહોંચાડવામાં આવે છે. યુઝર સેવા આપનારના કેન્દ્ર પર કાર્ડ, ડિજિટલ ચૂકવણી એપ કે ઇન્ટરનેટ બેન્કિંગના એક્સેસ વગર જ વાઉચરની રકમ મેળવી શકે છે. તેને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ પોતાના યુપીઆઇ પ્લેટફોર્મ પર નાણાંકીય સેવા વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સત્તામંડળના સહયોગથી વિકસાવ્યું છે.
તેનો ઉપયોગ માતૃ અને બાળ કલ્યાણ યોજનાઓ હેઠળ દવાઓ અને પોષણ સંલગ્ન સહાય, ટીબી નિવારણ કાર્યક્રમો, આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી, જનઆરોગ્ય યોજના જેવી સ્કીમો હેઠળ દવાઓ અને નિદાન, ખાતરની સબસિડી, વગેરે આપવાની યોજનાઓ હેઠળ સેવાઓ પૂરી પાડવામાં કરી શકાય છે. ખાનગી ક્ષેત્ર પોતાના કર્મચારીના કલ્યાણ અને કોર્પોરેટ સામાજિક જવાબદારીના કાર્યક્રમો હેઠળ પણ આ ડિજિટલ વાઉચરનો ઉપયોગ કરી શકે છે.