કુદરતી હોનારતો માં આફતોમાં ચૂકવાતી સહાયમાં રાજ્ય સરકારે વધારો કર્યો

ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (Chief Minister Bhupendra Patel)અધ્યક્ષ સ્થાને રાજ્ય મંત્રીમંડળની પ્રથમ બેઠક મળી હતી. જેમાં રાજ્યમાં વરસાદથી (Rain in Gujarat)પ્રભાવિત રાજકોટ-જૂનાગઢ અને જામનગર જિલ્લાના અસરગ્રસ્ત પશુપાલકો અને મકાનો-ઝૂંપડાઓને થયેલા નુકશાન મામલે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં (Cabinet meeting)કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે
મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી (Rajendra Trivedi)અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ (jitu vaghani)મંત્રીમંડળની બેઠકના આ નિર્ણયોની ભૂમિકા આપતાં કહ્યું કે, રાજ્ય સરકારે આ વરસાદી આફતનો ભોગ બનેલા આ ત્રણ જિલ્લાના લોકો, પશુપાલકોને ઉદારત્તમ મદદ-સહાય માટે પ્રવર્તમાન SDRFના સહાય ધોરણો ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વધારાની સહાય આપવાની સંવેદના દર્શાવી છે.
મંત્રીશ્રીઓએ આ સંદર્ભમાં વધુમાં જણાવ્યું કે, ભારે વરસાદથી ઘરવખરીને નુકશાન કે તણાઇ જવાના કિસ્સામાં SDRFની 3800 રૂપિયાની સહાયમાં આજે મંત્રીમંડળે વધારાના 3200 રૂપિયાની સહાય આપીને પરિવાર દીઠ 7000 રૂપિયા ઘરવખરી સહાય આપવાનો નિર્ણય કર્યો છે. તીવ્ર વરસાદથી જે ઝૂંપડાઓ નાશ પામ્યા છે તેવા કિસ્સામાં રાજ્ય સરકારે 5900 રૂપિયાનો વધારો આપવાનો નિર્ણય કર્યો છે. તદઅનુસાર, નાશ પામેલા ઝૂંપડાઓ માટે SDRFના 4100 રૂપિયામાં રાજ્ય સરકારના વધારાના 5900 રૂપિયા મળી હવે ઝૂંપડા દીઠ 10 હજાર રૂપિયાની સહાય અપાશે.
મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને જીતુ વાઘાણીએ જણાવ્યું કે, રાજ્ય સરકારે મકાન સહાય ઉપરાંત પશુમૃત્યુ સહાય, પશુ શેડ નુકશાન સામે સહાયમાં પણ વધારો કરવાનો નિર્ણય આજે મળેલી કેબિનેટ બેઠકમાં કર્યો છે. આ અંગેની વધુ વિગતો આપતાં બંને મંત્રીઓએ કહ્યું કે ભારે વરસાદથી અંશત: નાશ પામેલા પાકા મકાનો માટે SDRF અન્વયે મળવાપાત્ર 5200 રૂપિયા ઉપરાંત રાજ્ય સરકારના વધારાના 9800 રૂપિયા મળી હવે આવા મકાનો માટે મકાન દીઠ 15 હજાર રૂપિયા રાજ્ય સરકાર આપશે. તેમણે એમ પણ ઉમેર્યુ કે, જે કાચા મકાનો ભારે વરસાદને પરિણામે અંશત: નાશ પામ્યા છે તેવા મકાનો માટેની સહાયમાં રાજ્ય સરકારે 6800 રૂપિયાનો વધારો કર્યો છે. તદઅનુસાર, SDRFના ધોરણો મુજબ 3200 રૂપિયા મળવાપાત્ર સહાય અને વધારાની 6800 રૂપિયા એમ કુલ 10 હજારની સહાય ચુકવવામાં આવશે.
મહેસુલ મંત્રી અને શિક્ષણ મંત્રીએ અતિ વરસાદની પરિસ્થિતિમાં મૃત્યુ પામેલા નાના-મોટા દૂધાળા પશુઓની પશુ મૃત્યુ સહાયના ધોરણોમાં કેબિનેટ બેઠકે કરેલા વધારાની વિગતો પણ આપી હતી. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગાય, ભેસ જેવા મોટા દૂધાળા પશુઓના મૃત્યુના કિસ્સામાં અગાઉ માત્ર 3 પશુ મૃત્યુ સુધી જ સહાય ચુકવવામાં આવતી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પશુપાલકોને પશુઓના મૃત્યુથી થયેલા નુકશાન અંગે સહાનૂભુતિ દર્શાવતાં હવે પાંચ પશુ સુધી આવી મૃત્યુ સહાય આપવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં SDRFના ધોરણો મુજબ 30 હજાર રૂપિયાની પશુ મૃત્યુ સહાય પશુ દીઠ મળતી હતી. તેમાં વધારાના 20 હજાર રૂપિયા રાજ્ય સરકાર આપશે તેવો પણ નિર્ણય કર્યો છે. આમ, હવે દૂધાળા મોટા પશુ મૃત્યુના કિસ્સામાં પાંચ પશુ મૃત્યુ સુધી પશુ દીઠ 50 હજાર રૂપિયાની સહાય પશુપાલકોને અપાશે. વરસાદની આ સ્થિતિમાં આ ત્રણ જિલ્લાઓમાં ઘેટાં-બકરાં જેવા નાના દૂધાળા પશુઓના પણ મૃત્યુ થયાના કિસ્સા રાજ્ય સરકારના ધ્યાને આવ્યા છે. આવા નાના દૂધાળા પશુઓના મૃત્યુની સહાયમાં પણ પશુ દીઠ બે હજાર રૂપિયાનો વધારો રાજ્ય મંત્રીમંડળની પ્રથમ કેબિનેટે કરવાનો નિર્ણય કર્યો છે. હવે આવા નાના દૂધાળા પશુઓના મૃત્યુની સહાય પશુ દીઠ 5 હજાર પ્રમાણે રાજ્ય સરકાર આપશે.
મંત્રીઓએ કહ્યું કે, ભારે વરસાદને કારણે પશુઓ બાંધવાની ગમાણ-કેટલ શેડને પણ નુકશાન થયું હોય ત્યાં SDRFના 2100 રૂપિયા ઉપરાંત રાજ્ય સરકાર તરફથી 2900 રૂપિયા વધારાના મળી કુલ 5000 રૂપિયાની સહાય શેડ-ગમાણ દીઠ આપવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર આ વરસાદી આફતમાં રાજકોટ, જૂનાગઢ અને જામનગર જિલ્લાના અસરગ્રસ્તોની મદદ સહાય માટે સદૈવ તત્પર છે અને આ સુધારેલા ધોરણો મુજબ સહાય ચુકવણી માટેના જરૂરી આદેશો પણ કરવામાં આવ્યા છે.