જામનગર : મેઘપરમાં પાંચ શ્રમિકો ને નાસ્તો કર્યા બાદ ફૂડ પોઇઝન ના બન્યા ભોગ: એકનું મોત

મોટી ખાવડી નજીકની ખાનગી કંપનીમાં કાર્યરત પેટા કંપનીમાં કામ કરતા ઓરિસ્સાના પાંચ મજૂરોને ગઇકાલે સવારે નાસ્તો કર્યા બાદ ખોરાકી ઝેરની અસર થતા પાંચેયને જામનગર ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમ્યાન એક શ્રમિક યુવાનનું મૃત્યું નિપજ્યું હતું. જયારે અન્ય ચારને સારવાર આપી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. સવારે નાસ્તામાં આ પાંચેય શ્રમિકોએ ઇંડાભુરજી અને ભાત આરોગ્યા હોવાનું સામે આવ્યું છે. મેઘપર પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર જામનગર જિલ્લાના મોટી ખાવડી નજીક આવેલ એક કંપનીમાં કાર્યરત કોન્ટ્રાકટર પેઢીમાં મજૂરી કામ કરતા મુળ ઓરિસ્સાના વતની એવા પાંચ શ્રમિકોએ ગઇકાલે સવારે મેઘપર ગામે આવેલા જીતુભાઇની ઓરડીમાં ભાડે રહેતા હતા ત્યાં નાસ્તામાં ઇંડાભુરજી અને ભાત આરોગ્યા હતા. આ પછી થોડા જ સમયમાં પાંચેય શ્રમિકોની તબિયત લથડતા તેઓને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ગઇકાલે સવારે ઘટેલી આ ઘટના બાદ ખોરાકની વિપરીત અસર થતા દિપુના ભગવાનજીભાઇ સાહુ, પ્રદિપ બેરા, સુનિલકુમાર સાહુ, નારણ સાહુ, સંતોષકુમાર સાહુ નામના ચારેય મજૂરોને ઝાડા-ઉલ્ટીઓ થઇ હતી. જેને લઇને પાંચેયને 108 મારફતે તાત્કાલિક જામનગરની જી.જી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જયાં પાંચ પૈકીના દિપુના ભગવાનજીભાઇ સાહુ (ઉ.વ.20)વાળાને તબીબો તપાસી મૃત જાહેર કર્યો હતો. જયારે અન્ય ચારને તબીબોએ તાત્કાલિક સારવાર આપી સાંજે ડિસ્ચાર્જ કર્યા હતા. આ બનાવ અંગે મેઘપર પોલીસે ઘટના સ્થળે દોડી જઇ આ પાંચેય શ્રમિકોએ જે ખોરાક આરોગ્યો હતો તેના નમૂના લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.