અમરેલી જિલ્લામાં ૧૮ થી ૨૦ નવેમ્બર દરમ્યાન ત્રિદિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રા યોજાશે.

અમરેલી જિલ્લામાં ૧૮ થી ૨૦ નવેમ્બર દરમ્યાન ત્રિદિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રા યોજાશે.
અમરેલી ખાતેથી આજે ૧૮ નવેમ્બરના મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેનના હસ્તે યાત્રાનો આરંભ કરાશે.
ત્રિદિવસીય યાત્રા દરમિયાન વિવિધ કામોનું લોકાર્પણ- ખાતમુર્હૂત અને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવશે
સમગ્ર રાજયમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આજે ૧૮ નવેમ્બરથી ત્રિદિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો આરંભ થનાર છે. આ ત્રિદિવસીય યાત્રા દરમ્યાન અમરેલી જિલ્લામાં વિવિધ કામોનું લોકાર્પણ- ખાતમુર્હૂત અને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવશે. અમરેલીના દિલીપભાઈ સંઘાણી સાંસ્કૃતિક હોલ ખાતેથી આવતીકાલે ૧૮ નવેમ્બરના ગુજરાત રાજ્યના મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીના હસ્તે યાત્રાનો આરંભ કરાશે.
રાજય સરકાર દ્વારા જુદા જુદા વિભાગોને સાંકળીને વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને વિવિધ વિભાગના લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરવા માટે ૧૮ થી ૨૦ નવેમ્બર, ૨૦૨૧ દરમ્યાન ત્રિદિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રા યોજાનાર છે. આ યાત્રા અંતર્ગત અમરેલી જિલ્લામાં જિલ્લા પંચાયતની સીટ અનુસાર બનાવવામાં આવેલા રૂટ પ્રમાણે રથ ફરશે.
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત યોજાનાર આત્મનિર્ભર ગ્રામ યાત્રાના આરંભ પ્રસંગે ગ્રામજનો, શિક્ષકો, આંગણવાડી કાર્યક્ર, આશા બહેનો, સખી મંડળ, યુવક મંડળ,પાણી સમિતિ દ્વારા સ્વચ્છતા અંગે જન જાગૃતિ રેલી યોજાશે. તેમજ શાળાઓ, પંચાયત ઘર, આંગણવાડી, પોસ્ટ ઓફિસ, બેંક, દૂધ મંડળી, પશુ દવાખાના, સબ સેન્ટર, વેલનેસ સેન્ટર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સફાઇ કરવામાં આવશે. ત્યારબાદ મહાનુભાવોની ઉપસ્થિતમાં સવારના ૯.૩૦ કલાકથી સ્ટેજ કાર્યક્રમનો આરંભ થશે. આ કાર્યક્રમ દરમ્યાન ખેડા ખાતેથી આ યાત્રાનો આરંભ કરાવનાર રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સ્પીચનું પ્રસારણ કરવામાં આવશે. રથ પ્રસ્થાન અને વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સાધન-સહાયનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત શેરી નાટક, પશુ સારવાર કેમ્પ અન્ય વિવિધ કાર્યક્રમ યોજાશે. યાત્રા જે ગામે જશે, ત્યાં સરકારની ફલેગશીપ યોજના અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે.