ભરૂચ શહેર-જિલ્લામાં દિવાળીની આતશબાજી વચ્ચે આગજનીના સાત બનાવ

ભરૂચ, અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં દિવાળીએ આતશબાજી, શોર્ટ સર્કિટ તેમજ ગેસ લીકેજને લઈ આગજનીની સંખ્યાબંધ ઘટનાઓ બની હતી. જોકે સદનશીબે કોઈ દુર્ઘટના સર્જાઈ નથી. અંકલેશ્વર ગુજરાત હાઉસિંગ બોર્ડના સોસાયટી વિસ્તારમાં ગુજરાત ગેસ કંપનીની બેદરકારીના કારણે લીકેજ લાઈનમાં આગ ભભૂકી ઉઠતા સોસાયટીના રહીશોના જીવ ટાળવે ચોટયા હતા. રાતે ગેસ કંપનીને કોલ કરવા સાથે રહીશો ઘરની બહાર દોડી આવ્યા હતા. તુરંત વિસ્તારનો ગેસ અને વીજ પુરવઠો બંધ કરી આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો.
જ્યારે વાલિયાના કોંઢ ગામે નવા ફળિયામાં ફટાકડા ફોડતા તેના તણખા બે મકાનો ઉપર પડતા સળગવા લાગ્યા હતા. ડીપીએમસીના ફાયર ફાઈટરોએ દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે ઘર અને તેમાં રહેલી સાધન સમગ્રીને ભારે નુકશાન થયું હતું.
વાલિયાના જ રામપરામાં આતશબાજીમાં તાડનું ઝાડ સળગતા તેના તણખા બાજુના ઘર ઉપર પડતા બે મકાનો જોત જોતામાં સળગવા લાગ્યા હતા. જોકે ફાયર ફાઈટરના અભાવ વચ્ચે ગ્રામજનોએ જ પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની ફરજ પડી હતી.
જંબુસરના કોરા ગામે પણ દિવાળીની મધરાતે નવી વસાહતમાં બે મકાનોમાં શોર્ટ સર્કિટથી આગ લાગવાની ઘટના ઘટી હતી. ભરૂચમાં પણ લાલબજાર પોલીસ ચોકી સામે આવેલી કપડાંની દુકાનમાં શોર્ટ સર્કિટથી આગે દેખા દેતા ફાયર ફાઈટરો દોડતા થયા હતા. જ્યારે અંકલેશ્વરમાં ગડખોલ, સિટી સેન્ટર સહિત જિલ્લામાં અન્ય સ્થળોએ પણ ફટકડાથી કચરાના ઢગ સળગી ઉઠવાના છૂટા છવાયા બનાવો બન્યા હતા.
ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.