રાજકોટમાં રોજગાર મેળામાં 191 ઉમેદવારોને સરકારી નોકરીના નિમણુંક પત્રોના વિતરણ

- વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રેલવે, પોસ્ટ, બેન્ક, આયકર, ઉદ્યોગ વિભાગમાં મળી સૌરાષ્ટ્રવાસીઓને રોજગારી
- સરકારી સેવામાં ‘નેશન ફર્સ્ટ’નો હેતુ રાખવા નવ નિયુક્ત ઉમેદવારોને કેન્દ્રીય મંત્રી પુરૂષોતમભાઈ રૂપાલાનું સૂચન
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં દેશના ૭૧ હજારથી વધુ ઉમેદવારોને કેન્દ્રની સરકારી નોકરી માટેના નિમણુંક પત્ર વિતરણનો કાર્યક્રમ દેશના ૪૫ સ્થળોએ યોજાયો હતો. આ શૃંખલા અન્વયે સૌરાષ્ટ્ર કક્ષાનો રોજગાર મેળો કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના અધ્યક્ષ સ્થાને રાજકોટના જગજીવનરામ સીનીયર રેલવે ઇન્સ્ટિટ્યૂટ, કોઠી કમ્પાઉન્ડ ખાતે યોજાયો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વક્તવ્યનું જીવંત પ્રસારણ કરાયું હતું. આ પ્રસંગે વડાપ્રધાનએ કહ્યું હતું કે દેશના યુવાનોને દરેક ક્ષેત્રે રોજગારી મળે તે માટે પ્રતિબધ્ધ કેન્દ્ર સરકારે અનેક પ્રયાસો કર્યા છે. જેના ભાગરૂપે લાખો યુવાનો રોજગારી મેળવી રહયા છે. અનેક ક્ષેત્રની કાયાપલટ કરી રોજગારીની તકો યુવાનો માટે નિર્માણ કરાઈ છે.
મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી વિભાગના કેન્દ્રીય મંત્રી પુરૂષોતમભાઈ રૂપાલાએ રેલવે, પોસ્ટ, બેન્ક, આયકર, ઉદ્યોગ વિભાગમાં વિવિધ પદો પર નોકરી મેળવનાર ૧૯૧ ઉમેદવારોને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે આ રોજગાર મેળા થકી લાખો યુવાનોને રોજગારી આપવાનું કામ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થઇ રહ્યું છે. દેશના વિકાસની ધોરી નસ ભારતીય રેલવેને માનવામાં આવે છે, એટલે જ રેલવેને રોજગાર મેળામાં આયોજક બનાવાયું છે. દેશમાં સ્વચ્છતામાં અને રોજગારી આપવામાં રેલવે મોખરે છે. દેશના અમૃત કાળનો પ્રારંભ થયો છે ત્યારે આ મોકાનો લાભ લઇને દેશસેવામાં પ્રવૃત્ત થવા મંત્રીરી રૂપાલએ નવનિયુકત ઉમેદવારોને અનુરોધ કરતાં કહ્યું હતું કે આપણો દેશે વિશ્વમાં પોતાની અલગ ઓળખ પ્રસ્થાપિત કરી ચૂક્યો છે.
ભારતમાં યોજાયેલ જી-૨૦ સમિટમાં વિશ્વના અગ્રણી ૨૦ દેશો જોડાયા હતા. હાલની સરકાર દ્વારા ઝડપથી પારદર્શક અને ઓનલાઇન ભરતી થઈ રહી છે જેનું જીવંત ઉદાહરણ આજે થયેલ ભરતી છે. “નેશનલ ફર્સ્ટ” સૌની સેવાનો હેતુ રહેવો જોઈએ. સૌના સાથ- સહકારથી રાષ્ટ્ર ખૂબ ખૂબ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ મંત્રીએ નવનિયુક્ત ઉમેદવારોને પાઠવી હતી. આ કાર્યક્રમમાં મહાનુભવોનુ સ્વાગત તથા પ્રાસંગિક પ્રવચન ડી.આર.એમ. અનીલકુમાર જૈને કર્યું હતું. આ તકે સાંસદ મોહનભાઈ કુંડારીયા અને રામભાઇ મોકરિયા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, રાજકોટ મેયર ડો. પ્રદીપ ડવ , પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ, રોજગારી મેળવનાર યુવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ગિરીશ ભરડવા (રાજકોટ)