યુવા બ્રહ્મ અગ્રણી તીર્થેશ ઉપાધ્યાયને કરંટ લાગતાં મૃત્યુ, અન્ય 3 યુવાનો સારવાર હેઠળ

ગાંધીનગરના સેકટર – 22 નાં સુપ્રસિદ્ધ પંચદેવ મંદિર ખાતે આજે બ્રહ્મ સમાજ દ્વારા લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરાયું છે. જેનાં માટે નગરદેવતા પંચદેવ મંદિર ખાતે મંડપ બાંધવાનું કામ ચાલી રહ્યું હતું. એ દરમ્યાન તાર બાંધતી વખતે લોખંડનાં પોલના લાઈટના ખુલ્લા વાયરના કારણે ચાર લોકોને કરંટ લાગવા પામ્યો હતો. જેમાં બ્રહ્મ સમાજનાં યુવા ઉપપ્રમુખ તીર્થેશ અમૃતલાલ ઉપાધ્યાયનું મૃત્યુ થતાં સમાજમાં શોક વ્યાપી ગયો છે.
ગાંધીનગરનાં સુપ્રસિદ્ધ પંચદેવ મંદિર ખાતે બ્રહ્મ સમાજ દ્વારા લઘુરુદ્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન માટે 33 વર્ષીય ઉપપ્રમુખ તીર્થેશ ઉપાધ્યાય સહિત સમાજના અન્ય લોકો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી હતી. તીર્થેશ સહિતના લોકો લોખંડનો તાર એક છેડેથી બીજા છેડે બાંધી રહ્યા હતા. દરમ્યાન તારનું ગૂંચળું તીર્થેશનાં હાથમાં હતું. જેમની સાથે મંડપનો ઈલેક્ટ્રિશીયન તેમજ મૂકેશ ભટ્ટ અને તેમના પત્ની પણ હતા. ત્યારે લોખંડનાં પોલમાં છુટ્ટા વીજ વાયરને તાર અડી જતાં મૂકેશ ભટ્ટ, તેમના પત્ની તેમજ ઈલેક્ટ્રિશીયનને કરંટ લાગ્યો હતો. તીર્થેશ બધાનો જીવ બચાવવા માટે હાથમાં રહેલ તારનું ગૂંચળું દૂર ફેંકી દેવાનો પ્રયાસ કરવા ગયા હતા તે દરમ્યાન તેઓને પણ જોરદાર કરંટ લાગતાં જમીન પર ફસડાઈ ગયા હતા.
તીર્થેશને તાત્કાલિક સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવની જાણ વાયુવેગે પ્રસરી જતાં સમાજના અગ્રણીઓ સિવિલ દોડી ગયા હતા. જ્યાં વહેલી પરોઢિયે પોસ્ટમોર્ટમ કરાવીને તીર્થેશની લાશને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી છે. સમાજના અગ્રણીઓએ કહ્યું હતું કે, તીર્થેશને પત્ની અને એક છ મહિનાની દીકરી છે. જેઓ સરગાસણ નાયરા પેટ્રોલ પંપની બાજુમાં આવેલ સિદ્ધિવિનાયક બંગલોમાં રહેતાં હતાં.