અંકલેશ્વર-હાંસોટ પંથકમાં પાણીના અભાવે ડાંગર સહિતનો પાક નિષ્ફળ જવાની ભીતિ

અંકલેશ્વર-હાંસોટ વિસ્તારમાં વરસાદ ખેંચાતા તેમજ કેનાલમાં પાણી ન હોવાથી ખેતરોમાં સિંચાઇના પાણીની સમસ્યા વિકટ બની છે. ત્યારે અંકલેશ્વર તાલુકા તેમજ હાંસોટ પંથકના ખેડૂતોને સિંચાઇનું પાણી ના મળતા ડાંગરનો પાક સુકાવાની આરે છે. અહીંના ખેડૂતોના જણાવ્યા અનુસાર ડાંગરનો પાક નિષ્ફળ જાય તો લાખો રૂપિયાનું નુકશાન જાય તેમ છે. આ પંથકના ખેડૂતો ડાંગર,કપાસ,તુવેર અને શાકભાજીના પાકને નુકશાન જવાની ભીતીને લઇને ચિંતિત થઇ ઉઠયા છે.
બીજી તરફ જ્યાં સિંચાઇની નહેર છે ત્યાંના પણ છબછબીયા કરાય તેટલું જ પાણી હોઇ ખેડૂતોને કોતર અથવા ખાડીમાં સ્વ ખર્ચે ડીઝલ પંપ મુકી ખેતરમાં પાણી લેવાનો વારો આવ્યો છે. તેમાં પણ ખેડૂતોને ૧ વિંધા જમીનની સિંચાઇ,ખાતર,બીયરણ,મજૂરી તેમજ ટ્રેકટરનો ખર્ચ રૂપિયા ૧૧,૫૦૦/- ભોગવવાનો વારો આવ્યો છે. ખેડૂતોને પાણી ન મળતા ડાંગરનો જે પાક ખેતરમાં લહેરાઇ રહ્યો છે તે પણ બળવાની શરૂઆત થઈ ચૂકી છે. જગતના તાતને પણ પાણીની તાતી જરૂરીયાત વચ્ચે ખેતી માટે પાણી ના મળતા જો આગામી બે થી ત્રણ દિવસમાં વરસાદ નહીં આવે તો ઉભો પાક સુકાઇ રહ્યો હોવાથી ચિંતિત થયો છે.