બચપણ થી રમત ગમત અને વ્યાયામની ટેવ પડે અને આજીવન જળવાય તો દેશ અને રાજ્યના અંદાજપત્રમાં આરોગ્ય માટે ખર્ચની જોગવાઈ ઘટાડી શકાય:વિધાનસભા અધ્યક્ષ..

વડોદરા,
બાળકો મોબાઈલ છોડો અને મેદાનમાં ઉતરો એવો અનુરોધ કરતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી એ જણાવ્યું કે બાળકોમાં બચપણથી રમવા અને યોગ વ્યાયામ ની ટેવ પડશે તો સ્વસ્થ પેઢીનું ઘડતર થશે અને દેશ તેમજ રાજ્યના બજેટમાં આરોગ્ય માટે કરવા પડતા ખર્ચમાં ઘટાડો કરી શકાશે. તેમણે કહ્યું કે કરાટે એ કોઈને મારવા માટેની નહિ પણ હુમલા થી જાતને બચાવવાની,આત્મ રક્ષણની રમત છે અને વ્યક્તિને આત્મ રક્ષણનો અધિકાર કાયદો પણ આપે છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી એ રવિવારે ગુજરાત વાડો કાઈ કરાટે ડુ એસોસિએશન આયોજિત વેસ્ટર્ન ઇન્ડિયા વાડો કાઈ કરાટે ચેમ્પિયનશિપ ૨૦૨૦ ના વિજેતાઓને ઈનામ વિતરણ કર્યું હતું. આ સ્પર્ધામાં ગુજરાતના વિવિધ શહેરો અને મહારાષ્ટ્ર, દીવ દમણ થી લગભગ ૨૦૦ તાલીમાર્થીઓ એ ભાગ લીધો હતો.આ પ્રસંગે રમતવીર બાળકોએ પીઝા જેવી હાનિકારક વાનગીઓ છોડી ભારતીય પરંપરાની તંદુરસ્ત ફૂડ હેબિટ અપનાવવાના શપથ લીધા હતા. વિધાનસભા અધ્યક્ષ એ જણાવ્યું કે મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં નરેન્દ્રભાઇ મોદીએ ખેલ મહાકુંભ શરૂ કરાવ્યો.
પ્રધાનમંત્રી તરીકે એમણે ખેલો ઇન્ડિયા શરૂ કરાવ્યો. તેના પરિણામે બાળકોમાં રમતવીર બનવાની ધગશ કેળવાઈ અને માતાપિતામાં બાળકોને રમતવીર બનાવવાના ઉત્સાહનું સિંચન થયું. એમણે સયાજીરાવ ગાયકવાડના વ્યાયામપ્રેમને યાદ કર્યો અને અખાડા પરંપરા દ્વારા તંદુરસ્તી જાળવવાના વડોદરાના રાજ્ય વારસાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે સશકત માનવ સંપદા થી સશકત રાષ્ટ્રનું નિર્માણ થાય છે . તેમણે દીકરીઓ કરાટે રમે અને મજબૂત મનોબળ કેળવે એવો અનુરોધ કરતાં કહ્યું કે દેશને ઝાંસીની રાણી જેવી મહિલા શક્તિની જરૂર છે.વિધાનસભા અધ્યક્ષએ કરાટેની તાલીમ દ્વારા રમત સંસ્કૃતિ પ્રોત્સાહિત કરવા માટે સંસ્થા અધ્યક્ષ અને પૂર્વ મંત્રી રજનીકાંત રજવાડી અને રાજેશ અગ્રવાલ સહિત પદાધિકારીઓને અભિનંદન આપ્યા હતા. શ્રી રાજેશ અગ્રવાલે સહુને આવકારતા જણાવ્યું કે કરાટે મૂળ જાપાનની રમત છે જે ચાર શાખાઓ માં વિશ્વ પ્રચલિત બની છે. તેમણે જણાવ્યું કે રમત ગમત મંત્રી તરીકે રાજેન્દ્રભાઇ એ કરાટે ની રમતને માન્યતા આપી જેના લીધે ખૂબ પ્રોત્સાહન મળ્યું અને રમતનો વ્યાપ વધ્યો છે.