સુજલામ સુફલામ જળ અભિયાન – ૨૦૨૦ અંતર્ગત ભરૂચ ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષપણા હેઠળ બેઠક મળી

ભરૂચ,
રાજ્ય સરકાર ધ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન – ૨૦૨૦ અંતર્ગત તાલુકાવાર તળાવો ઉંડા કરવા / તળાવોના ઓવારા સાફ – સફાઈ કરવા, હયાત ચેકડેમોનું ડીસીલ્ટીંગ, હયાત જળાશયોનું ડીસીલ્ટીંગ આગામી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવનાર છે. સુજલામ સુફલામ જળ અભિયાન – ૨૦૨૦ હેઠળ જિલ્લાકક્ષાએ આગોતરા કામગીરી સંદર્ભે સબંધિત વિભાગોના માસ્ટરપ્લાન બનાવવા તથા સ્વૈચ્છિક સંસ્થાઓ નકકી કરવી વિગેરે નિયત કરેલ સમય મર્યાદામાં કામગીરી શરૂ થાય તે અંગેની બેઠક જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાના અધ્યક્ષપણા હેઠળ કલેક્ટર કચેરી સભાખંડમાં મળી હતી.
બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી જિલ્લા કલેક્ટરશ્રીએ સુજલામ સુફલામ જળ અભિયાન – ૨૦૨૦ હેઠળ આગોતરી કામગીરી સંદર્ભે સબંધિત વિભાગો ધ્વારા કરવામાં આવનાર કામગીરીની જાણકારી મેળવી હતી તેમણે જિલ્લાના દરેક તાલુકાના તળાવો ઉંડા કરવા અને તળાવોના ઓવારા સાફ-સફાઈ કરવાની કામગીરી તાત્કાલિક ધોરણે આયોજન હાથધરી કરવામાં આવે. જે તળાવો ખાલી છે તેને પ્રથમ સફાઈ કરવામાં આવે. તેમણે ઉપસ્થિત અધિકારીગણને ઉક્ત કામગીરી સ્વૈચ્છિક સંસ્થાઓ નક્કી કરી તેઓને સોંપવા પણ જણાવાયું હતું.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અરવિંદ વિજયન, નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.ડી.પટેલ, સિંચાઈ વિભાગ, ગ્રામ વિકાસ એજન્સી, મધ્યમ સિંચાઈ વિભાગ, ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગ, આયોજન અધિકારી, વન વિભાગ, પાણી પુરવઠા, વાસ્મો, તમામ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લાની નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.