બાન્દ્રામાં રસ્તા પર ઊતરેલા લોકોનો હોબાળો

મુંબઈ: કોરોના વાઈરસને ધ્યાનમાં રાખી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લૉકડાઉનનો સમયગાળો લંબાવ્યાના ગણતરીના કલાકો બાદ પેટિયું રળવા અન્ય રાજ્યોમાંથી આવેલા લોકોએ બાન્દ્રામાં ભારે હોબાળો મચાવ્યો હતો. મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમને નેવે મૂકી વતન જવાની ઇચ્છા સાથે રસ્તા પર ઊતરેલા લોકોને સમજાવટ બાદ દૂર ખસેડવા માટે પોલીસે હળવો બળપ્રયોગ પણ કરવો પડ્યો.
બાન્દ્રા પશ્ર્ચિમમાં રેલવે સ્ટેશન નજીકના બસ ડેપો પાસે મંગળવારે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. બાન્દ્રા પોલીસ સ્ટેશનનાં સિનિયર ઈન્સ્પેક્ટર વિજયાલક્ષ્મી હિરેમઠે જણાવ્યું હતું કે એકઠા થયેલા લોકોની માગણી હતી કે તેમને વતન જવું છે અને તે માટે વાહનની સગવડ કરાવી આપવી જોઈએ. મંગળવારે જરૂરિયાતમંદો માટે અનાજ ભરેલી ટ્રક સુધ્ધાં લાવવામાં આવી હતી, પરંતુ અનાજ નહીં, પોતાના ઘરે જવાની જીદ ટોળાએ કરી હતી.
એકઠા થયેલા લોકોમાં બાન્દ્રા સ્ટેશન નજીકના શાસ્ત્રી નગર અને પટેલ નગર ઝૂંપડપટ્ટી વિસ્તારના રહેવાસીઓનો સમાવેશ થાય છે. મોટા ભાગના લોકો મજૂર વર્ગના હોવાથી આર્થિક સમસ્યાથી ઝઝૂમી રહ્યા હતા. જોકે તેમને સરકાર અને બિનસરકારી સંસ્થાઓ તરફથી ભોજનની સુવિધા પૂરી પાડવામાં આવી રહી હતી. ટોળાનું કહેવું હતું કે તેમને ભોજન મળી રહે છે, પરંતુ અન્ય સમસ્યાઓને કારણે તેમને વતન મોકલવામાં આવે.