રાહુલ ગાંધીના ટ્વીટમાં એકપણ શબ્દમાં મૃત્યુ પામેલ લોકો માટે સંવેદના કે શ્રદ્ધાંજલિ નથી : ભરત પંડ્યા

મોટી ઇસરોલ : કોંગ્રેસના શ્રી રાહુલ ગાંધીએ ગુજરાતને ટાર્ગેટ કરીને, બદનામ કરવા માટે કરેલ ટ્વીટ સામે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકતાશ્રી ભરત પંડયાએ તીવ્ર પ્રતિક્રિયા આપતાં જણાવ્યુ હતું કે, રાહુલ ગાંધીના ટ્વીટમાં એકપણ શબ્દમાં મૃત્યુ પામેલ લોકો માટે સંવેદના કે શ્રદ્ધાંજલિ નથી. માત્ર રાજનૈતિક રીતે સીલેકટેડ ફિગર લઈને ગુજરાતને ટાર્ગેટ કરવાનો નિંદનીય પ્રયાસ કર્યો છે.
ગુજરાતનો રીકવરી રેટ 69 ટકા છે. જે દેશના એવરેજ અને અન્ય રાજયોના રીકવરી રેટ કરતાં વધુ છે. તેમ છતાં તેને ધ્યાનમાં લીધો નથી. મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત કોંગ્રેસ શાસિત રાજયોમાં કોરોનાના આંકડા, હોસ્પિટલોની પરિસ્થિતિમાં ધ્યાન આપવું નથી અને માત્ર, ગુજરાતને બદનામ કરીને ટાર્ગેટ કરવું છે. શ્રી રાહુલ ગાંધીએ કોંગ્રેસના શાસિત રાજયનો મુખ્યમંત્રીશ્રીઓ સાથે સંપર્ક-સંવાદ કરીને ત્યાંની વધુ બગડેલી પરિસ્થિતિને સુધારવા પ્રયત્ન કરવો જોઈએ.
એકબાજૂ કોંગ્રેસના આઠ ધારાસભ્યો કેન્દ્રીય કોંગ્રેસ નેતૃત્વની નીતિ-રીતિ અને આક્રોશ સામે રાજીનામાં આપી દીધાં છે. બીજીબાજૂ કેન્દ્રીય નેતાઓના ઈશારે પોતાના પરીવાર અને મતવિસ્તારથી દૂર કોંગ્રેસના તમામ ધારાસભ્યોને અપમાનીત હાલતમાં અને અવિશ્વાસના વાતાવરણમાં અલગ અલગ જગ્યાએ રીસોર્ટમાં બંદીવાન થઈને ફરવું પડે છે ત્યારે કેન્દ્રના કોંગ્રેસના કયા નેતાના ઈશારે ગુજરાતના ધારાસભ્યો રાજીનામાં આપી રહ્યાં છે ? તેનું સંશોધન કરવું નથી. કોંગ્રેસની આંતરીક જૂથબંધીને કંટ્રોલ કરવી નથી અને ગુજરાતને ટાર્ગેટ કરવું છે. તે યોગ્ય નથી.
શ્રી પંડયાએ જણાવ્યું હતું કે, હવે, ફરીથી રાહુલ ગાંધીને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની કોશિશમાં કોંગ્રેસ ગુજરાતને, ગુજરાતના નેતૃત્વ અને ગુજરાતની જનતાને ટાર્ગેટ કરીને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેવું વિશ્લેષ્કો, વિચારકો અને કોંગ્રેસના કેટલાંક નેતાઓનું જ માનવું છે. નહેરૂ-ગાંધી પરીવારના હાથમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધ્યક્ષ પદ છેલ્લા 42 વર્ષથી રહ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે શ્રી નહેરૂજી 7 વર્ષ, શ્રીમતી ઈન્દીરાજી 7 વર્ષ, શ્રી રાજીવ ગાંધી 6 વર્ષ અને શ્રીમતી સોનિયા ગાંધી 19 વર્ષ સુધી હોય ત્યારબાદ શ્રી રાહુલ ગાંધી 2 વર્ષ અને ફરીથી હાલમાં, શ્રીમતી સોનીયા ગાંધી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ છે.
હવે, તેમને રાષ્ટ્રીય અધ્યક્ષ બનવું હોય તો તેના માટે મુબારક પાઠવું છું. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ કે જે બનવું હોય તે બનો પરંતુ ગુજરાતને બદનામ કરવાનું બંધ કરો તેવી શ્રી પંડયાએ અનુરોધ કર્યો હતો. કોરોનાની પરિસ્થિતિમાં એકબીજા ઉપર આક્ષેપ કરવાને બદલે લોકોને એક સેવાની, સહાયતાની અને સંવેદનાની જરૂર હોય છે નહીં કે વિવાદની. કોંગ્રેસે વિવાદ, ઉશ્કેરાટ કે અપપ્રચાર બંધ કરીને કોરોની પરિસ્થિતિમાં લોકોના મનોબળને મજબૂત કરવાનો હકારાત્મક પ્રયાસ કરવો જોઈએ. રાહુલ ગાંધીએ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં વધુ ધ્યાન આપવું જોઈએ અને ગુજરાતને બદનામ કરવાનું બંધ કરવું જોઈએ. તેમશ્રી પંડયાએ અંતમાં જણાવ્યું હતું.