આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવો ઘાટ : હવે ફાયરસેફ્ટી ઝુંબેશ
અમદાવાદ: સુરતમાં ૧૫ મહિના પહેલા બનેલા તક્ષશિલા અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારે રાજયભરમાં ફાયર સેફટીની ઝુંબેશ ચલાવી હતી એવી જ રીતે આગ લાગે ત્યારે કૂવો ખોદવાની થિયરી અનુસરીને અમદાવાદની કોવિડ-૧૯ ડેઝિગ્નેટેડ શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનામાં ૮ દર્દીના મોત બાદ હવે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં હોસ્પિટલોના ફાયર સેફ્ટીનાં સાધનો અને પ્રમાણ પત્રો ચકાસવાની ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી હતી.
મહાનગરોમાં મોટા ભાગની હોસ્પિટલો ફાયરસેફ્ટીના પ્રમાણપત્રો વગર જ ચાલતી હોવાનું બહાર આવ્યું હતું પરંતુ તંત્રને શિથિલતાને લીધે કોઇ પગલાં ભરવામાં આવ્યા નહોતા. પરંતુ અમદાવાદની હોસ્પિટલના અગ્નિકાંડ બાદ ફરી એક વાર તંત્ર જાગ્યું હતુ અને અમદાવાદ તેમજ રાજકોટ અને વડોદરામાં હોસ્પિટલોમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું.
ગાંધીનગરમા બેઠેલા ઉચ્ચ અધિકારીઓએ તત્કાળ કોવિડ ૧૯ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની સુવિધાની તપાસ કરવાના સ્થાનિક તંત્રને આદેશ કરવામાં આવતા તંત્ર સવારથી કામે લાગી ગયું હતું.વડોદરા ફાયરબ્રિગેડના ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, અમને અત્યાર સુધીમાં એક પણ કોવિડ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની ચકાસણી કરવાની સૂચના મળી નથી અને ચકાસણી કરી પણ નથી. જોકે આજે સૂચના મળતા અમે કોવિડ હોસ્પિટલોમાં ફાયરસેફ્ટીની ચકાસણી શરૂ કરી છે.