કલેકટર-મહેસૂલ સેવા સદનના અરજદારો રઝળ્યા, 7 કર્મીઓ કોરોના થતાં કચેરીઓ બંધ રહી

- પ્રાંત, મામલતદાર, સીટી સર્વે કચેરી, જનસેવા કેન્દ્ર બંધથી અરજદારોની ધરમના ધક્કા
- આવક અને જાતિના દાખલા સહિતની કામગીરી ઠપ્પ
જામનગરમાં શરૂ સેકશન રોડ પર આવેલી કલેકટર કચેરી અને મહેસૂલ સેવા સદનના એક સાથે ૭ કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતા તકેદારીના ભાગરૂપે શનિવારે કલેક્ટર કચેરી અને મહેસુલ સેવા સદન બંધ રાખવામાં આવતા અરજદારો રઝળી પડ્યા હતા. પ્રાંત, મામલતદાર, સીટી સર્વે કચેરી, જનસેવા કેન્દ્ર બંધથી આવક, જાતિના દાખલા સહિત ની મહત્વની કામગીરી ઠપ્પ રહેતા લોકોને મુશ્કેલી સાથે ધરમના ધક્કા થયા હતા.
જામનગરમાં શરૂ સેકશન રોડ ખાતે આવેલા જિલ્લા સેવા સદનમાં કાર્યરત જિલ્લા કલેકટર કચેરી, સીટી સર્વે કચેરી તથા મહેસૂલ સેવા સદનમાં કાર્યરત પ્રાંત કચેરી, જામનગર શહેર અને ગ્રામ્ય મામલતદાર કચેરી, સબ રજીસ્ટ્રાર કચેરીમાં ફરજ બજાવતા તમામ સરકારી કર્મચારીઓ તથા આઉટસોર્સ એજન્સી મારફત ફરજ બજાવતા કર્મચારી મળી કુલ ૨૬૪ કર્મચારીઓનો કોરોનાના એન્ટીજન ટેસ્ટ શુક્રવારે કરવામાં આવ્યો હતો. એક સાથે ૭ કર્મચારીઓના ટેસ્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો હતો.
– રોહિત મેરાણી (જામનગર)