ગુર્જર અનામત આંદોલનના કારણે 4 ટ્રેનો ડાઇવર્ટ કરાઇ

અમદાવાદ : રાજસ્થાનમાં ચાલી રહેલા ગુર્જર આંદોલનના કારણે રેલવે ટ્રેકોને ભારે નુકશાન પહોંચાડાયું હોવાથી અમદાવાદ આવતી પાર્સલ ટ્રેન અને પેસેન્જર ટ્રેન મળીને કુલ 4 ટ્રેનોને વૈકલ્પિક માર્ગેથી દોડાવાની ફરજ પડી છે. જેને લઇને મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.તા. 5 નવેમ્બરે ઉપડેલી હઝરત નિઝામુદ્દીન-અમદાવાદ સ્પેશિયલ રેવાડી-જયપુર-સવાઇ માધોપુરના વૈકલ્પિક રૂટેથી દોડાવાઇ રહી છે. તા. 4 નવેમ્બરે ઉપડેલી પલવલ-અમદાવાદ વિશેષ પાર્સલ ટ્રેન રેવાડી-જયપુર-પાલનપુરના માર્ગેથી દોડાવાની ફરજ પડી છે.
ઉપરાંત ગુવાહાટી-ઓખા પાર્સલ ટ્રેન ભરતપુર-જયપુર, સવાઇ માધોપુરના રસ્તેથી દોડાવાશે. તા.5 નવેમ્બરે ઉપડેલી આસનસોલ-ભાવનગર સ્પેશિયલ ટ્રેનને ભરતપુર-બાંદીકુઇ, જયપુર-સવાઇ માધોપુરના વૈકલ્પિક રૂટ પરથી દોડાવાશે. રાજસ્થાનમાં ચાલી રહેલા અનામત આંદોલનના કારણે સર્જાયેલી સ્થિતિમાં ટ્રેન વ્યવહાર ખોરવાતા રેલવેના મુસાફરોને ભારે પરેશાનીઓ ભોગવવી પડી રહી છે. રાજસ્થાનના કોટા વિભાગમાં ડુમરિયા, ફતેહ સિંહપુરા વચ્ચે રેલવે ટ્રેકને ભારે નુકશાન પહોંચાડાયું હોવાનું રેલવેના અધિકારીઓ જણાવી રહ્યા છે. આગામી દિવસોમાં પણ ટ્રેન વ્યવહાર પર અસર વર્તાશે.