મુંબઈની લાઈફ લાઈન લોકલ ટ્રેનો થશે દોડતી

મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનોને પહેલી ફેબુ્રઆરીથી સામાન્ય નાગરિકો માટે શરૂ કરવાની ઘોષણા રાજ્ય સરકારે કરી છે. પરંતુ સામાન્ય મુંબઈગરા માત્ર મર્યાદિત સમય માટે જ લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરી શકશે.સર્વસામાન્ય પ્રવાસીઓ પહેલી લોકલથી સવારે સાત વાગ્યા દરમ્યાન. ત્યારબાદ બપોરે 12થી ચાર વચ્ચે તેમજ રાત્રે નવ વાગ્યાથી છેલ્લી લોકલ સુધી સબર્બન લોકલ ટ્રેનમાં મુસાફરી કરી શકશે.
સામાન્ય પ્રવાસીઓને સવારે 7થી બપોરે 12 તેમજ સાંજે ચાર વાગ્યાથી રાત્રે નવ વાગ્યા દરમ્યાન લોકલ ટ્રેનોમાં પ્રવાસની પરવાનગી રહેશે નહીં. સવારે સાત વાગ્યાથી બપોરે 12 તેમજ સાંજે ચારથી રાત્રે નવ વાગ્યા દરમ્યાન રાજ્ય સરકારે પરવાનગી આપી હોય તેવા અતિઆવશ્યક સેવાના કર્મચારીઓને જ મુંબઈની લોકલ ટ્રેનોમાં પ્રવાસની પરવાનગી રહેશે. પ્રવાસ દરમ્યાન દરેકે માસ્ક પહેરવું ફરયિદાત રહેશે. પરાવાનગી સિવાયના સમયે પ્રવાસ કરતા ઝડપાઈ જતા પ્રવાસીઓ પર કાર્યવાહી કરાશે તેવી માહિતી પણ રાજ્ય સરકારે આપી હતી.
મુંબઈની લોકલ ટ્રેન સામાન્ય નાગરિકોની લાઈફલાઈન ઉલ્લેખનીય છે કે મુંબઈની સબર્બન લોકલ ટ્રેનો સામાન્ય નાગરિકોની લાઈફલાઈન ગણાય છે. કોરોના વાયરસની પાર્શ્વભૂમિકા પર લોકલ ટ્રેનોની સેવા 22મી માર્ચ 2020થી સ્થગિત કરી દેવાઈ હતી. 15મી જૂનથી આ લોકલ ટ્રેનોની ફરી શરૂઆત કરાઈ હતી પરંતુ તેમાં માત્ર અતિઆવશ્યક સેવાના રાજ્ય સરકારે પરવાનગી આપી હોય તેવા તેમજ આરોગ્યકર્મચારીઓને જ પ્રવાસની પરવાનગી અપાઈ હતી. ત્યારબાદ શિક્ષક તેમજ શિક્ષકેતર કર્મચારીઓને પણ લોકલમાં પ્રવાસની છૂટ અપાઈ હતી.
તેમ છતાં સામાન્ય નાગરિકોને પ્રવાસની પરવાનગી ન અપાતા તેમનો આક્રોશ ભભૂકી ઉઠયો હતો અને પ્રવાસી સંગઠનોએ આંદોલનની પણ ચીમકી આપી હતી. તેથી તાજેતરમાં જ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ અધિકારીઓ સહિત બેઠક યોજી આ પ્રકરણે ચર્ચા કરી હતી. તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રખાઈ ગિરદી ઓછી થાય તે રીતે તબક્કાવાર લોકલ ટ્રેનોમાં પ્રવાસીઓને પ્રવેશ અપાય તેવો નિર્ણય લેવાયો હતો તે મુજબ આજે આ ઘોષણા કરાઈ હતી. રાજ્ય સરકારે અન્ય ઓફિસોને પણ સમયની માગને અનુલક્ષીને લોકલ ટ્રેનોની ભીડ ઘટાડવા ઓફિસના સમયમાં ફેરફાર કરવાનું નિવેદન કર્યું છે. જોકે પ્રવાસી સંગઠનોએ તેમજ સામાન્ય નાગરિકોએ આ સમય અંગે અસંતોષ વ્યક્ત કર્યો છે. કારણ તેનાતી નોકરિયાત વર્ગને કોઈ ફાયદો નહીં થાય.