રચનાબેન નંદાણીયા એ વધારાનું પાણી રણમલ તળાવ માં ન ઠલવાવા વિનંતી

છલોછલ થયેલાં જામનગરના રણમલ તળાવમાં કેનાલ મારફત હવે વધારાનું પાણી નહીં ઠાલવવા વોર્ડ નં. 4ના કોર્પોરેટર રચના નંદાણીયાએ કમિશનરને રજૂઆત કરી છે. જો તળાવમાં નવું પાણી આવશે અને તે છલકાઇને બહાર વહેશે તો નીચાણવાળા વિસ્તારો જેવા નવાગામ ઘેડમાં સમસ્યા સર્જી શકે તેમ હોય તાકિદે પગલાં લેવાની માંગણી કરી છે.
કમિશનરને કરેલી રજૂઆતમાં રચના નંદાણીયાએ જણાવ્યું છે કે, હજુ પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ત્યારે ડેમમાંથી છોડવામાં આવતા પાણી શહેરના નીચાણાવાળા વિસ્તારો જેવા કે, નવાગામ ઘેડ, રામેશ્ર્વનગર, ખડખડનગર વગેરેમાં ઘુસી જાય છે. આવા સંજોગોમાં તળાવમાં ઠલવાતું પાણી આ વિસ્તારો માટે આફત સર્જી શકે છે. ત્યારે રંગમતિ નદીમાંથી તળાવમાં આવતું પાણી તાકિદે અટકાવવા માંગણી કરવામાં આવી છે. નદીના પાણીમાં અન્ય જગ્યાએ સલામત રીતે નિકાલ કરવા પણ જણાવવામાં આવ્યું છે.
તળાવમાં ઠલવાતા પાણી અંગે જામ્યુકોના સીટી ઇજનેર શૈલેષ જોષીએ જણાવ્યું હતું કે, રણમલ તળાવમાં લગભગ છલોછલ થતાં કેનાલ મારફત તળાવમાં આવતું પાણી અટકાવી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં પંપ હાઉસથી આગળ રણજીતસાગર રોડ પર કેનાલનું આ પાણી નદીમાં ડાયવર્ટ કરવામાં આવી રહયું છે. તેમણે જણાવ્યું કે, હાલ રણમલ તળાવની સપાટી સ્થિર છે. તેમાં કોઇ નવું પાણી ઠલવાતું નથી. ભારે વરસાદની સ્થિતિમાં શહેરનું પાણી તળાવમાં આવી શકે છે. પરંતુ નદીમાંથી આવતું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે.