જામનગર પોલીસનું ગુપ્ત ઓપરેશન : ઉત્તરપ્રદેશમાં ફરવા ગયેલા 2 અપહૃત યુવાનોને છોડાવ્યા

જામનગરથી ઉતરપ્રદેશ ફરવા ગયેલા 2 યુવાનોના ઉત્તરપ્રદેશમાં થયેલા અપહરણ બાદ જામનગર પોલીસ સ્થાનિક પોલીસની મદદથી ગુપ્ત ઓપરેશન પાર પાડી બંને યુવાનોને છોડાવી જામનગર આવવા રવાના થઇ હતી. જેને પગલે આજે મંગળવારે બપોર બાદ પોલીસ યુવાનોને છોડાવી જામનગર પરત ફરશે. જામનગરમાં પોશ વિસ્તારમાં રહેતી એક મહિલા બે દિવસ પૂર્વે સીટી બી ડીવીજન પોલીસ દફ્તરે આવી હતી. જેણે આ સમગ્ર ઘટના અંગે પોલીસને વિગતો આપી હતી. જેના અંતર્ગત તેણીએ જણાવ્યું હતું કે તેના પતિ અને તેમના મિત્રો ચાર દિવસ પૂર્વે ઉત્તરપ્રદેશ ફરવા ગયા હતા. જ્યાં એક દિવસ સંપર્ક નહિ થયા બાદ તેણીને ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી કે તેણીના પતિ અને તેની સાથે રહેલા યુવાનનું અપહરણ થયું છે. મહિલા પાસે બંનેની સલામતી માટે રૂપિયા આપવાની માંગણી પણ કરવામાં આવી હતી.
આવી ઘટના સામે આવતા જીલ્લા પોલીસ વડાએ તાત્કાલિક કાનપુર પોલીસનો સંપર્ક કર્યો હતો. જેને લઈને કાનપુર પોલીસે તમામ સહકારની ખાતરી આપતાં જામનગર પોલીસની એક ટીમ કાનપુર પહોંચી હતી. પોતે યુવાનોના પરિવાર વતી આવ્યા હોવાની ગુપ્ત ઓળખ આપી જામનગર પોલીસ અપહરણકારો સુધી પહોંચી હતી અને સમયસુચકતા વાપરી કાનપુર પોલીસની મદદથી બંને અપહૃતને મુક્ત કરાવ્યા હતા. જામનગર પોલીસે બંને યુવાનોને હેમ ખેમ ઉગારી લીધા હોવાની જામનગર પરિવારને જાણ થતા જામનગરમાં ખુશી ફેલાઈ ગઈ હતી. જામનગર પોલીસ બંને યુવાનોને સાથે રાખી જામનગર આવવા રવાના થઇ છે. આજે મંગળવારે સાંજ સુધીમાં આ ટીમ બંને યુવાનોને લઈ અહીં આવી જશે. ત્યારબાદ પોલીસ સત્તાવાર વિગતો જાહેર કરશે એમ પીઆઈ કે એલ ગાધેએ જણાવ્યું હતું.