જામનગરના પ્રદર્શન મેદાનમાં ગેરકાયદે ખડકી દેવાયેલી ઝુપડપટ્ટી હટાવવા મેગા ઓપરેશન

જામનગરના પ્રદર્શન મેદાનમાં કેટલાંક કેટલાક સમયથી ઝુપડપટ્ટી ખડકાઇ ગઇ છે, અને બે ડઝનથી વધુ ઝુંપડાવાળાઓએ ગેરકાયદે રીતે ઝૂંપડા ખડકી દીધા છે, અને સરકારી જમીનમાં પેશકદમી કરી દીધી હતી. જે મામલે તંત્ર સમક્ષ ફરિયાદ પહોંચ્યા પછી આજે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ દ્વારા સફાઈ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું, અને શહેર વિભાગના મામલતદાર ની હાજરીમાં ડિમોલીશન હાથ ધરાયું હતું.
પ્રદર્શન મેદાનની સરકારી જગ્યા માટે સંખ્યાબંધ ઝુપડા ખડકી દેવાયા છે. જે ઝુપડપટ્ટી માં અસંખ્ય લોકો વસવાટ કરે છે. એટલું જ માત્ર નહીં અહીં વારંવાર ઝઘડા થતા રહે છે, અને દેશી દારૂની પ્રવૃત્તિ પણ ચાલતી રહે છે. જે સમગ્ર ફરિયાદને લઇ ને જામનગર શહેર વિભાગના મામલતદાર ની ટીમ દ્વારા આજે સરકારી જગ્યા ખુલ્લી કરવા માટેનું મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
જામનગરની એસ્ટેટ શાખાની ટુકડી દ્વારા જુદા-જુદા બે ટ્રેકટર વડે ડીમોલેશન કાર્ય હાથ ધરી તમામ ઝૂંપડાઓને ખસેડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઝુંપડપટ્ટીના રહેવાસીઓને પોતાનો સામાન ખસેડી લેવા માટેની મુદત આપવામાં આવી છે. જે સામાન ખસેડી લીધા પછી સમગ્ર સરકારી જગ્યા ખુલ્લી કરીને સમથળ બનાવી લેવાશે.