લોકશાહી પ્રત્યે લોકોની જવાબદારી વધે તે હેતુથી જાહેર સ્થળો અને બુથ ઉપર ઈવીએમ-વીવીપેટનું નિદર્શન

લોકસભાની ચૂંટણી માટે ચૂંટણી તંત્ર સજ્જ બની રહ્યું છે ત્યારે ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર પૂર્વ તૈયારીમાં જોતરાઈ ગયું છે.તા. ૧ લી જાન્યુઆરીથી મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત ઈવીએમ ડેમોસ્ટ્રેશનની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવશે.મતદાનની ટકાવારી વધે તેમજ ઈવીએમ સામે થતી શંકા દૂર કરવા માટે તંત્ર ઈવીએમ લઈને જાહેર સ્થળોએ જશે અને ત્યાં વીવીપેટ સાથેનું નિદર્શન કરી લોકોમાં રહેલી ગેરસમજ દૂર કરાશે.
ભરૂચ જિલ્લામાં ૧ લી જાન્યુઆરીથી તમામ બુથ ઉપર ડેમોસ્ટ્રેશન:
મોબાઈલ વાન સાથે મેળાવડા, શાકમાર્કેટ, થિયેટર અને શોપીંગ સેન્ટરો પર ઈવીએમ વીવીપેટ નિદર્શન યોજાશે. લોકસભા ચૂંટણીની તૈયારીઓ તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. ચૂંટણી માટે મહત્વના ગણાતા બે પાસા એટલે કે, મતદારયાદી અને ઈવીએમ યુનિટ આ બંને ક્ષતિરહિત તૈયાર કરી દેવામાં આવ્યા છે. મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત તેમાં સુધારા પણ કરવામાં આવ્યા છે તો ઈવીએમ સહિત વીવીપેટ મશીનોનું પણ ટેસ્ટીંગ કરી દેવામાં આવશે. આ ઉપરાંત જે પોકેટમાં મતદાન ઓછું થાય છે ત્યાં મતદાર જાગૃતિના કાર્યક્રમો પણ યોજવામાં આવશે.
ભાવેશ મુલાણી (બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત)