સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા કોલેજ રોડ પર ગ્રીલ નાખવાનું કામ પુરજોશમાં

સુરેન્દ્રનગરના જોરાવરનગરથી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ તરફ આવવા માટે રિવરફ્રન્ટ પર આવેલો પુલ મહત્વનો છે. આ બેઠા પુલ પર બન્ને સાઇડ રેલિંગ ન હોવાથી પુલની બન્ને સાઇડ ખુલ્લી હોવાથી અકસ્માતનો ભય રહે છે. ચોમાસા દરમિયાન પુર આવે તો કોઇ વ્યક્તિ પુલ પર ફસાય ત્યારે તેને બચવા માટે કોઇ સહારો મળે તેમ ન રહે તેવી સ્થિતિ હતી.. અહીંથી રોજ અનેક લોકો સુરેન્દ્રનગરથી જોરાવરનગર અવર જવર કરતા હોવથી કોઇ અકસ્માત સર્જાય પહેલા પુલ પર રેલિંગ નાંખવા લોકમાંગ હતી.
પાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા, કારોબારી ચેરમેન જીતેન્દ્રસિંહ ચાવડા, સદસ્ય ઝંખનાબેન ચાંપાનેરી, ભાવેશભાઇ પ્રજાપતિ સહિતના સભ્યો દ્વારા આ પુલ ઉપર 9 લાખના ખર્ચે રેલિંગ નાંખવા મંજૂરી અપાઇ હતી. આથી બંન્ને તફર રેલિંગ નાંખવાનું કામ શરૂ કરાયું છે. આ અંગે કારોબારી ચેરમેન જીતેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું કે હાલ એક તરફ રેલિંગ બની ગઇ છે. અંદાજીત એક સપ્તાહમાં બન્ને તરફ રેલિંગ નાંખવાનું કામ પૂર્ણ કરવામાં આવશે.
રિપોર્ટ : જાડેજા દીપેન્દ્રસિંહ (સુરેન્દ્રનગર)