અમદાવાદના પુર અસરગ્રસ્ત ગામમાં NVBDC અંતર્ગત વિવિધ એક્ટીવીટી કરાઇ

વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ
– ધોલેરાના અસરગ્રસ્ત ગામમાંચુનાનો છંટકાવ, એબેટ કામગીરી,બીટીઆઇ છંટકાવ સહિત સઘન સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી
તાજેતરમાં અમદાવાદ જિલ્લાના ધોલેરા ધુંધાકા તાલુકામાં પડેલા ભારે વરસાદ અને ઉપરવાસનું પાણી આવવાના કારણે કેટલાક ગામોમાં પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે રોગચાળો ફાટી નિકળશે તેવી કેટલીક લોકોમાં દહેશત હતી ત્યારે અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુની સુચના મુજબ અમદાવાદ જિલ્લા મેલેરીયા અધિકારી એન.એલ રાઠોડ પોતાની ટીમ સાથે પુર અસરગ્રસ્ત ગામમાં પહોચ્યા હતા અને સ્થાનિક આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ સાથે સતત સંકલનમાં કરીને ચુનાનો છંટકાવ, એબેટ કામગીરી, બીટીઆઇ છંટકાવ સહિત સઘન સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ફ્લડ અસરગ્રસ્ત ગામમાં મેડીકલ ઓફિસર દ્વારા ઓપીડી શરૂ કરીને સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી. રાજપુર ગામમાં મેડીકલ કેમ્પ કરવામાં આવ્યો હતો. જીલ્લાની આરોગ્ય ટીમ દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર ડો.દિનેશ પટેલના સંપર્કમાં રહીને કામગીરી કરાવવામાં આવી હતી. જેના કારણે ધોલેરા ધુંધુકા તાલુકાના અસરગ્રસ્ત ગામમાં હાલ કોઇ વાહકજન્ય કે પાણીજન્ય રોગચાળાની દહેશત નથી તેમ જાણવા મળેલ છે.
અમદાવાદના જીલ્લા મેલેરીયા અધિકારી એન.એલ. રાઠોડે જણાવ્યુ હતુ કે, અમદાવાદ જીલ્લાના ધોલેરા પંથકના વિવિધ ગામોમાં પુરનુ પાણી ઓસરતાની સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા સધન કામગીરી હાથ ધરવામાં આવી હતી. સોઢી,મીંગલપુર, રાજપુર સહિતના ફ્લડ અસરગ્રસ્ત ગામમાં પાણી ઉતર્યા પછી ચુનાનો છંટકાવ અને ઘર વપરાશના પાણીમાં એબેટ કામગીરી કરવામાં આવી રહી છે. બંધીયાર ભરાયેલ પાણીમાં બીટીઆઇનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે અને એડલ્ડ મચ્છરોના નાશ માટે ફોગીંગ કરવામાં આવી રહ્યુ છે. સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં ઓપીડી શરૂ કરીને દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા ગૃહ મુલાકાત લઇને ફિવર સર્વેલન્સ કરવામાં આવી રહ્યુ છે. જેના કારણે ધોલેરા પંથકના ફ્લડ અસરગ્રસ્ત ગામમાં પાણીજન્ય કે વાહકજન્ય રોગચાળો ફેલાવાની કોઇ દહેશત નથી.