નાગલા ગામના પડતર પ્રશ્નો ન ઉકેલાંતા આખરે લાગ્યા રાજકીય નેતાઓ વિરૂદ્ધ બેનરો

થરાદ તાલુકાના નાગલા ગામના પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતાં ગ્રામજનોએ રાજકીય નેતાઓ તેમજ અધિકારીઓ સામે બાંયો ચઢાવી તેમના વિરોધ પોસ્ટરો લગાવી રોષ ઠાલવ્યો હતો, વર્ષ 2015 તેમજ 2017 માં આવેલ વિનાશકારી પૂરમાં મોટા ભાગના ગામોમાં પાણી ફરી વળ્યું હતું, ત્યારે થરાદના નાગલા ગામે પૂરનું પાણી આવતાં ગામતળ તેમજ સીમતળ પાણીમાં ભરાયેલો હોઈ ગામના જાગૃત નાગરિકો દ્વારા રાજકીય નેતાઓ તેમજ અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવા છતાં પૂર આવ્યાને ત્રણ વર્ષ વીતી ગયા હોવા છતાં હજુ સુધી પાણી નિકાલ થયો નથી.
જ્યારે વર્ષ 2017માં પુર આવ્યું ત્યારે ગુજરાતના સંવેદનશીલ ગણાતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આ ગામની મુલાકાતે આવતાં ગ્રામજનોને આશ્વાસન આપ્યું હતું કે ગામનું પુનર્વસન તેમજ કાયમી પાણી નિકાલ કરવાની ખાત્રી આપી હોવા છતાં પાણી નિકાલ ન થતાં રોષે ભરાયેલા ગ્રામજનોએ અધિકારીઓ સહિત રાજકીય નેતાઓને નાગલા ગામમાં ગામની મંજૂરી લીધા વગર પ્રવેશ ન કરવાના પોસ્ટરો લગાવ્યાં બાદ સરકાર હવે આ ગામની સમસ્યા દૂર કરવા શું પગલાં ભરે છે તેવી ચર્ચાઓ સેવાઈ રહી છે.
કૃષી યુનિર્વિસટીનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવાનું હોવાથી થરાદ પધારવાના હોઈ મુખ્યમંત્રી આ ગામની મુલાકાત લઇને વર્ષ 2017માં નાગલા ગામના ગ્રામજનોને આપેલ ખાત્રીને સાર્થક કરવા ગામનું પુનર્વસન તેમજ પાણી નિકાલની સમસ્યા દૂર કરશે કે પછી મોટા મોટા ભાષણો જ આપશે તેવા અનેક સવાલો લોકમુખે ચર્ચાસ્પદ બન્યા છે, ત્યારે જોવાનું એ રહ્યું કે સંવેદનશીલ ગણાતા મુખ્યમંત્રી, મંત્રીઓ, આગેવાનો તેમજ અધિકારીઓ વિરુદ્ધ નાગલા ગ્રામજનોએ લગાવેલ બેનરોની અસરથી રાજકીય નેતાઓ સહિત અધિકારીઓ ગામની મુલાકાત લઇને શું કંઈ પડતર પ્રશ્નોને વાચા આપે છે કે કેમ એતો આવનારો સમય જ સાબિત કરશે.
રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ