સરકાર-તબીબો-પેરામેડિકલ-સમાજ સૌ સાથે મળીને કોરોના સામેની લડાઇ જીતીશું-પ્રજાજનો નિશ્ચિંત રહે: મુખ્યમંત્રી

- કોરોનાની પ્રવર્તમાન સ્થિતીમાં ખાનગી ક્ષેત્રના પ્રતિસ્થિત તબીબો-સેવાભાવી ડોકટરો -IMA અગ્રણીઓ સાથે મુખ્યમંત્રીશ્રી-નાયબ મુખ્યમંત્રીશ્રીએ વિડીયો કોન્ફરન્સ કરી કોરોના સામેના જંગમાં સહયોગ આપવા અનુરોધ કર્યો
- મુખ્યમંત્રીશ્રીના સચિવે બેઠકના નિર્ણયોની જાણકારી આપી
- કોરોનાની સ્થિતીમાં જરૂરતમંદ લોકોને આરોગ્ય સેવા-સુવિધા ત્વરાએ મળે તે માટે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને સંકલન સમિતીની રચના કરાશે-
- IMAના જિલ્લા પ્રતિનિધિ-અગ્રણી તબીબોનો સમિતિમાં સમાવેશ
- જરૂર પડે ત્યારે ૧૩૦૦ ફિઝિશીયન-નિષ્ણાંતો ખાનગી તબીબોની સેવાઓ સરકારને મળશે
- રાજ્યકક્ષાએ વરિષ્ઠ સચિવો-અગ્રણી તબીબોની સંકલન સમિતી રચવાનો પણ મુખ્યમંત્રીશ્રીનો નિર્ણય
- ખાનગી તબીબો કલીનીક-OPD ચાલુ રાખે-કોરોનાના લક્ષણો ધરાવતા દરદીને તુરત જ નજીકની સરકારી હોસ્પિટલને રિફર કરે:- શ્રી વિજયભાઇ રૂપાણી
ગાંધીનગર,
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જાહેર કર્યુ છે કે, રાજ્યમાં કોરોના વાયરસ કોવિડ-19 ની વર્તમાન સ્થિતીમાં દરેક જિલ્લામાં જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં IMAના જિલ્લા પ્રતિનિધિ અને અગ્રણી તબીબની સંકલન સમિતીની રચના કરવામાં આવશે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, કોરોના વાયરસ સામેનો જંગ સરકાર, સમાજ અને તબીબી જગત તથા પેરામેડિકલ સૌના સહયોગથી આપણે જીતવો જ છે. રાજ્યમાં હાલની સ્થિતીએ કોરોનાનો વ્યાપ તીવ્ર થયો નથી પરંતુ જો સ્થિતી વિકટ બને તો જરૂરિયાત મુજબ આવા ખાનગી તબીબોની સેવાઓ, તબીબી માનવસંશાધન, તજ્જ્ઞતા જરૂરતમંદ વ્યકિતઓને મળી રહે તે હેતુથી આ સંકલન સમિતીની રચના કરી છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, રાજ્યમાં આના પરીણામે ૧૦૦૦ જેટલા ખાનગી ફિઝીશયન્સ, ફેફસા રોગ નિષ્ણાંત અને ૩૦૦ જેટલા એનેસ્થીયસ્ટીસની સેવાઓ જરૂરિયાત મુજબ મળતી થવાની છે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રહેલા ખાનગી તબીબો, ઇન્ડીયન મેડીકલ એસોસિયેશનના અગ્રણીઓ સાથે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ સંવાદ બેઠક યોજીને કોરોનાની આ વૈશ્વિક મહામારી સામેની લડાઇમાં ખાનગી ક્ષેત્રના તબીબોના સૂચનો-મંતવ્યો મેળવ્યા હતા.
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન તેમજ વરિષ્ઠ સચિવો શ્રી પંકજકુમાર, ડૉ. રાજીવકુમાર ગુપ્તા, ડૉ. જ્યંતિ રિવ, શ્રી અશ્વિનીકુમાર અને IMAના પ્રેસિડેન્ટ ડૉ. કેતન દેસાઇ તથા ડૉ. કમલેશ ઉપાધ્યાય આ વિડીયો કોન્ફરન્સ બેઠકમાં જોડાયા હતા. મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ લીધેલા અન્ય મહત્વના નિર્ણયોની ભૂમિકા પ્રચાર માધ્યમોને આપી હતી. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીશ્રીએ રાજ્યકક્ષાએ પણ આરોગ્ય વિભાગના અને કોરોના વાયરસની કામગીરી સાથે સંકળાયેલા વરિષ્ઠ સચિવો તેમજ IMAના અગ્રણી સભ્ય તબીબોની સંકલન સમિતીની રચના કરી નિયમીતપણે ચર્ચા-સંવાદ થાય અને પ્રવર્તમાન સ્થિતીના સંદર્ભમાં જરૂરી કાર્યવાહિનું સંકલન થાય તેવી સૂચના આરોગ્ય વિભાગને આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના ખાનગી તબીબો પોતાના કલીનીક, દવાખાનાઓમાં OPD શરૂ કરે તેવી અપિલ કરતાં ઉમેર્યુ કે પરંતુ જો સારવાર લેવા આવનારા દરદીઓમાં કોઇને પણ કોરોનાના લક્ષણો જણાય તો તુરત જ તેવા દરદીને નજીકની સરકારી હોસ્પિટલ અથવા કોરોના કોવિડ-19ની ડેડીકેટેડ હોસ્પિટલમાં રિફર કરે તેવી તાકીદ કરી હતી.