ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યનો કારોના રિપોર્ટ પોઝિટિવ, CMરૂપાણીને મળ્યા હતા

રાજ્યભરમાં કોરોના વાયરસને કહેર જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદ જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઇમરાન ખેડાવાલાને એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ છે કે ઇમરાન ખેડાવાલા મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ મળ્યા હતા.
ઇમરાન ખેડાવાલાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ
ઇમરાન ખેડાવાલા ગઇકાલ સુધી કોરોના વાયરસને લઇ પોતાના મત વિસ્તારના લોકોને સતત જાગૃત કરી રહ્યા હતા. ઘરે ઘરે જઇને કોરોના વાયરસને લઇને આરોગ્ય કર્મીઓ સાથે સતત તે ફરતા હતા અને જાગૃત કરતા હતા. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના કોટ વિસ્તારમાં કરફ્યૂની જાહેરાત કરાઇ તે પહેલા કોટ વિસ્તારના ત્રણ ધારાસભ્યો ઇમરાન ખેડાવાલા, ગ્યાસુદ્દીન શેખ અને શૈલેષ પરમાર સાથે બેઠક કરી હતી. આ દરમિયાન મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ તેઓ મળ્યા હતા. જોકે, આ બેઠકમાં સોશિયલ ડિસ્ટસિંગનું ધ્યાન રાખવામાં આવ્યુ હતું.

અમદાવાદના કોટ વિસ્તારમાં કરફ્યૂ
અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલા શાહપુર, કારંજ, દરિયાપુર, ગાયકવાડ હવેલી, ખાડિયા, કાલુપુર અને દાણીલીમડા જેવા વિસ્તારોમાં આવતીકાલ સવારે 6 વાગ્યાથી જ કર્ફ્યૂ લગાવવામાં આવશે. સ્થાનિક પોલીસ સાથે આ તમામ વિસ્તારમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. પોલીસ, હોમગાર્ડ, એસઆરપી, પેરામિલિટ્રી ફોર્સ, બીએસએફ, આરએએફ સહિતના સ્ટાફને તૈનાત કરવામાં આવશે. કર્ફ્યૂના સમય દરમિયાન બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી માત્ર મહિલાઓ જ દૂધ, અનાજ, કરિયાણું વગેરે જેવી વસ્તુઓ લેવા જઈ શકશે. જ્યારે અતિઆવશ્યક સેવા માટે પાસ લેવા ફરજિયાત રહેશે. આ પાસ લેવા માટે ઓનલાઇન અરજી કરવી પડશે.