અમદાવાદના હોટસ્પોટમાં કોઈ છૂટ નહીં મળે

અમદાવાદ: કોરોના વાઈરસના ૩૫૧થી વધુ કેસ એકલા અમદાવાદમાં જ નોંધાઈ ચૂકયાં છે ત્યારે હવે તંત્ર દ્વારા ખાસ કરીને કોરોનાગ્રસ્ત વિસ્તારોને અલગ પાડીને તે વિસ્તારોમાં લોકડાઉનનો વધુ કડકાઇથી અમલ કરવાનું નક્કી કર્યું છે. ખાસ કરીને કોટ વિસ્તારમાં આવેલા કાલુપર, દરિયાપુર, જમાલપુર, તેમજ પશ્ચિમ અમદાવાદના આંબાવાડી, ગુલબાઇ ટેકરા સહિતના વિસ્તારોમાં ૨૦મી પછી પણ કોઇ પણ જાતની છૂટછાટ મળી શકશે નહીં.
અમદાવાદમાં ૩૫૧ પોઝિટિવ કેસોમાંથી મોટાભાગના કેસો આવાં કોરોનાગ્રસ્ત વિસ્તારોમાંથી જ નોંધાયેલા છે. જેથી આ વિસ્તારો પર હવે પેરા મિલીટરી ફોર્સ સાથેનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બીજી તરફ લોકડાઉન વધારવામાં આવતા શેલ્ટર હોમમાં રહેલા મજૂરો પોતાના વતનમાં જવાની જીદને લઈ બહાર નીકળી લોકડાઉનનો ભંગ કરી શકે છે. કાયદો વ્યવસ્થા જળવાય તેને લઈ આવા શેલ્ટર હોમ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં, ચેકપોસ્ટ પર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જે વિસ્તારોમાં પરપ્રાંતીય મજૂરો રહે છે ત્યાં પેટ્રોલિંગ કરવા આદેશ આપવામાં આવ્યા છે.