મંત્રીનાં પુત્ર અને મહિલા પોલીસકર્મીની માથાકૂટ, સાંભળો ઓડિયોમાં રકઝક

સુરતઃ રાજનેતાઓ અને તેમનાં પરિવારજનો સાથે પોલીસકર્મીઓની રકઝકથી લઈને મારામારી સુધીની ઘટનાઓ આપણા દેશમાં છાસવારે બનતી હોય છે. પરંતુ જ્યારે કોરોના જેવી મહામારી સામે આપણે લડી રહ્યાં હોય અને પોલીસ વિભાગ જેને કોરોના વોરિયર કહેવામાં આવે છે. તેમની સાથે દુર્વ્યવહારની ઘટના બનવી કેટલી યોગ્ય કહેવાય તે પ્રશ્ન હાલ સુરતમાં ટોકઓફ ટાઉન બન્યો છે. ગુજરાતનાં આરોગ્ય રાજ્યમંત્રી કુમાર કાનાણીનાં દીકરાએ મહિલા પોલીસકર્મી સાથે અયોગ્ય વર્તન કર્યું હતું. તે પણ કરફ્યુ સમયે બહાર નીકળેલા પોતાના મિત્રોને બચાવવા માટે. વિવાદ મંત્રીનાં પરિવારનો હોવાથી મહિલા પોલીસકર્મીને બંદોબસ્તની જવાબદારીમાંથી હટાવી દેવામાં આવ્યાં છે.
કોરોનાને કારણે હાલ દેશમાં અનલોક-2 અમલમાં મુકવામાં આવ્યું છે જેમાં રાત્રે 10 વાગ્યાથી કરફ્યુ મુકવામાં આવ્યો છે, જો કે તેમાં કેટલીક છૂટછાટ પણ આપવામાં આવી છે પરંતુ વગર કારણે ફરતાં લોકો સામે કાર્યવાહી કરવામાં આવે છે. સુરતમાં પણ પોલીસ કરફ્યુનો અમલ કરાવી રહી છે, ત્યારે ગુરુવારે મોડી રાત્રે બનેલી એક ઘટના હાલ સુરત સહિત રાજ્યનાં ચર્ચાનો વિષય બની છે. સુરત શહેર પોલીસના હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતી લોકરક્ષક કોન્સ્ટેબલ સુનિતા યાદવ, પોલીસ અધિકારી અને આરોગ્ય રાજ્યમંત્રી કુમાર કાનાણીનાં પુત્ર વચ્ચેની વાતચીતનો ઓડિયો સામે આવ્યો છે.
ગુરૂવારે રાત્રે સુરતનાં વરાછા વિસ્તારમાં આવેલા હીરાબજારમાં કારમાં માસ્ક વગર પાંચ યુવકો રસ્તા પર ફરી રહ્યા હતાં. કરફ્યુનો ભંગ થતો હોવાથી સુનિતા યાદવે તેમને અટકાવ્યા હતાં. જેને પગલે યુવાનો અને પોલીસકર્મી વચ્ચે માથાકૂટ થઈ હતી. આ સમગ્ર ઘટના વચ્ચે યુવકોએ આરોગ્ય રાજ્યમંત્રી કુમાર કાનાણીનાં દીકરા પ્રકાશ કાનાણીને ફોન કર્યો હતો, જેથી થોડી વારમાં પ્રકાશ ત્યાં આવ્યો હતો. જો કે ત્યાર બાદ બંને વચ્ચે મામલો બીચકયો હતો.
જે ઓડિયો વાઇરલ થયાં છે તેમાં પોલીસકર્મી કહી રહ્યાં છે કે,
“યુવાનો પૈકી કોઈએ અપશબ્દો કહ્યાં છે, પણ મને ઉપરી અધિકારીએ આદેશ આપ્યો છે એટલે અહીંથી હાલ જઈ રહી છું. પોલીસની વર્દીમાં બહુ પાવર છે. મારામાં દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ઉભા રાખવાની ત્રેવડ છે. તમારામાં જો ત્રેવડ હોય તે લગાવી દેજો, રાજ્યનાં પોલીસ વડા પાસે નહીં વડાપ્રધાન પાસે પહોંચવાની ત્રેવડ છે મારી. મારી બદલી કરાવી દો. મારે ગાંધીનગર જવું છે, બહુ મગજમારી નથી કરવી, સસ્તામાં કરાવી દેજો. સતત મને અહીં 365 દિવસ ઉભી રાખશે એવું તને કહેવાની સત્તા કોણે આપી. મંત્રીનો દીકરો છે તો શું થયું ?”
પોતાની નોકરીમાં પડી રહેલી મુશ્કેલીઓ અંગે પણ યાદવ જોરજોરથી બોલી રહ્યાં હતાં. ઓડિયોમાં સુનિતા યાદવ મોટા અવાજે પોતાનો ગુસ્સો યુવાનો અને અન્ય લોકો પર ઠાલવી રહી હતી. સમગ્ર મામલે કોન્સ્ટેબલે વરાછા પોલીસ સ્ટેશનનાં ઇન્સ્પેક્ટર બી.એન.સગરને પણ જગ્યા પરથી ફોન કર્યો હતો અને આ આખી વાત કહી હતી. જો કે બાદમાં સુનિતા યાદવની ડ્યુટી વિડ્રો કરી દેવામાં આવી હતી અને તેમને જગ્યા છીડી દેવાનું કહેવામાં આવ્યું હતું. જો કે એક ઓડિયોમાં પોલીસ અધિકારી સાથે પણ સુનિતા યાદવ અયોગ્ય વર્તન કરતી જણાય છે.
પોલીસ કમિશનર રાજેન્દ્ર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, “આ સમગ્ર ઘટનાનાં ઓડિયો સાંભળ્યાં છે. આ સમગ્ર ઘટના અંગે તપાસ કરીને જેની પણ ભૂલ હશે તેની સામે પગલાં લેવામાં આવશે. હાલમાં એવી ચર્ચા ચાલી રહી છે એલ.આર સુનિતાએ રાજીનામું આપી દીધું છે, જો કે તેને સત્તાવાર સમર્થન નથી મળ્યું.”