કોવિડ સમીક્ષા બેઠકમાં ઓક્સિજનનો મુદ્દો ગાજ્યા

- રાજ્યમંત્રી હકુભાએ ઓક્સિજન સપ્લાયની સુદૃઢ વ્યવસ્થા ગોઠવવા તંત્રને તાકીદ કરી
- શહેરમાં 2591, જિલ્લામાં 1145 દર્દી હોમ આઇસોલેશનમાં: રોજ 3500 ટેસ્ટનો દાવો
જામનગર શહેર-જિલ્લાની કોવિડ સમીક્ષા બેઠકમાં રાજયમંત્રીઓએ ઓક્સિજન વ્યવસ્થા સુદ્રઢ કરવાની સાથે ઓછામાં ઓછી માનવ ખુવારી થાય અને વધુમાં વધુ લોકોને શ્રેષ્ઠતમ સેવા મળી રહે તે દિશામાં કામગીરી કરવા અધિકારીઓને સૂચના આપી હતી. શહેરમાં 2591, જિલ્લામાં 1145 દર્દી હોમ આઇશોલેશનમાં છે. રેપીડ અને આરટીપીસીઆર મળી દરરોજ 3500 ટેસ્ટ કરવામાં આવી રહ્યાનો દાવો તંત્રએ કર્યો હતો. જામનગર શહેર-જિલ્લાની કોવિડ સ્થિતિની સમીક્ષા બેઠક શુક્રવારે જિલ્લા સેવા સદનમાં મળી હતી. જેમાં મંત્રી આર.સી.ફળદુએ કોરોનાના કપરા સમયમાં ઓછામાં ઓછી માનવ ખુવારી થાય અને વધુમાં વધુ લોકોને શ્રેષ્ઠતમ સેવા મળી રહે તે દિશામાં અધિકારીઓને કામગીરી કરવા સૂચના આપી હતી.
તદ્ઉપરાંત જિલ્લાના ગ્રામીણ તથા નગરપાલિકા વિસ્તારોમાં આરોગ્ય સેવા સુદ્રઢ બને તેમજ આરોગ્ય વિભાગની ટીમો ગ્રામીણ ક્ષેત્રે ઘરે ઘરે જઈ લોકોની આરોગ્ય તપાસ કરે અને પોઝિટિવ દર્દીઓને તાત્કાલિક અસરથી અલગ તારવી તેમને આઇસોલેટ કરે તે માટે તાકીદ કરી હતી. બેઠકમાં રાજ્યમંત્રી ધર્મેદ્રસિંહ જાડેજાએ શહેર જિલ્લામાં ઓક્સિજનની સુવિધાઓ વધુ સુદ્રઢ કરવા માટે તંત્રને સુચના આપી હતી. શહેરની કોવિડ સ્થિતિનો ચિતાર આપતા મ્યુનિસિપલ કમિશનર સતિષ પટેલે જણાવ્યું હતું કે, હાલ 3190 પોઝિટિવમાંથી 2591 દર્દીઓ હોમ આઇસોલેટ છે. જેમનું આરોગ્ય ટીમ દ્વારા સતત મોનીટરીંગ થઇ રહ્યું છે. શહેરમાં મેડિકલ તથા પેરા મેડિકલ સ્ટાફની અછતને પહોંચી વળવા નવી નિમણુંકો અંગે કાર્યવાહી કરાઈ રહી છે.
હાલમાં રેપીડ એન્ટીજન, આટીપીસીઆર મળી દૈનિક 3500 જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ગ્રામીણ તથા નગરપાલિકા વિસ્તારો અંગેની કોવિડ સ્થિતિ વિશે જિલ્લા વિકાસ અધિકારી ડો.વિપિન ગર્ગે જણાવ્યું હતું કે હાલ જિલ્લામાં 1418માંથી 1145 દર્દી હોમ આઇસોલેટ છે. જયારે 273 દર્દી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. 130 બેડ ઓક્સિજન સાથેના પણ તાકીદે ઉભા કરવામાં આવ્યા છે. ગ્રામીણ વિસ્તારોમાં રેમડેસિવિર ઇન્જેકશન, દવા, પથારી વધારવા સૂચન ધારાસભ્ય રાઘવજી પટેલ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં રેમડેસીવીર ઇન્જેક્શન, ઓક્સિજન, જરૂરી દવાઓ, આરોગ્ય કેન્દ્રોમાં આઇશોલેશન બેડની સંખ્યા વધારવી સહિતના સૂચનો મંત્રી સમક્ષ રજૂ કર્યા હતા. મંત્રી આર.સી.ફળદુ તથા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પદાધિકારી તથા અધિકારીઓએ રજૂ કરેલી કોવિડ નિયંત્રણ અંગેની રજૂઆતો તથા સૂચનો સાંભળી તેના પરત્વે યોગ્ય કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું.
– રોહિત મેરાણી (જામનગર)