નિકાવાની સીમમાં સગીર પર સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય આચરનાર 3ને 10 વર્ષની સજા

- નિકાવાની સીમમાં ત્રણેય નરાધમોએ અત્યાચાર ગુજાર્યો હતો
- માર મારી માતા-પિતાને તલવારથી કાપી નાખવાની ધમકી આપી હતી
કાલાવડ પંથકની સીમમાં સગીર પર સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરનાર ત્રણ આરોપીને અદાલતે 10 વર્ષની સજા ફટકારી છે. ત્રણેય આરોપીએ સગીરને માર મારી કોઇને કહીશ તો માતા-પિતાને તલવારથી કાપી નાખવાની ધમકી આપી હતી. કાલાવડ તાલુકાના એક ગામમાં રહેતાં સગીરનું ત્રણેક વર્ષ પહેલાં ઇનાયત ઈકબાલ શાહમદાર, સલીમશા અબ્દુલશા શાહમદાર ઉર્ફે અપલો તથા ગિરીશ ગોરધન વસોયા નામના ત્રણ શખ્સો લાલચ આપી રિક્ષામાં અપહરણ કરી ગયાં હતાં. ત્યારબાદ સગીરને ડેમ પર લઇ જઇ સલીમશા ઉર્ફે અપલાએ આ સગીર પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી ધમકાવ્યો હતો.
ત્યારપછી આ બાબતની કોઈને વાત કરીશ તો તને તથા તારા માતા-પિતાને તલવારથી કાપી નાખીશું તેવી ધમકી આપી રિક્ષામાં મનસુખ ગોરધનભાઈની વાડીએ લઈ ગયા હતાં. જ્યાં ઈનાયતે તેને સળિયો ફટકારી ગિરીશ વસોયા અને ઈનાયતે અગાસીમાં લઈ જઈ સગીર પર સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યુ હતું. આ નરાધમોની નાગચૂડમાંથી છટકી પોતાના ઘેર પહોંચેલા સગીરે માતા-પિતાને વાત કરતા પોલીસે પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. કેસ ચાલી જતાં જે વાડી માલિક તે સગીર પર અત્યાચાર થયો હતો તે વાડીના માલિક મનસુખનું નિવેદન, 28 સાક્ષી, તબીબની જુબાની, 46 દસ્તાવેજી પુરાવા અને જિલ્લા વકીલ જમન ભંડેરીની રજૂઆતો ધ્યાને લઇ ન્યાયાધીશે ત્રણેય આરોપીને તકસીરવાન ઠેરવી 10 વર્ષની સજા અને રૂ.1 હજારનો દંડ ફટકાર્યો હતો.
– રોહિત મેરાણી (જામનગર)