ભરૂચ ખાતે પ્રી – વાઇબ્રન્ટ ગુજરાત સમીટ ૨૦૨૧ નેશનલ કોન્કલેવ ઓન નેચરલ ફાર્મિંગ કાર્યક્રમની થયેલી ઉજવણી

પ્રાકૃતિક ખેતી અંગે ધરતીપૂત્રોને માર્ગદર્શન આપતી નેશનલ કોન્કલેવ
વડાપ્રધાનશ્રીનો લાઈવ પ્રસારણ કાર્યક્રમ ભરૂચના પંડિત ઓમકારનાથ હોલ
ખાતે સૌએ નિહાળ્યો
ભરૂચઃ ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા કૃષિ પ્રી – વાઇબ્રન્ટ સમિત યોજવામાં આવી છે. જેના ઉપક્રમે આજે નેશનલ ફાર્મિંગ અંગેના નેશનલ કોન્કલેવનું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વચ્યુઅલ ઉપસ્થિતિમાં આણંદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રી-વાઇબ્રન્ટ હેઠળ નેશનલ ફાર્મિંગ અંગેના નેશનલ કોન્કલેવ અંતર્ગત ભરૂચ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ વેળાએ જિલ્લા કલેક્ટરશ્રી તુષારભાઈ સુમેરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશભાઈ ચૌધરી, નગરપાલિકાના પ્રમુખ અમિતભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોની આવકમાં વધારો કરવા અને તેમના વિકાસ થકી જ સમાજના દરેક વર્ગનો વિકાસ જોડાયેલો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રી પદના કાર્યક્રમ દરમિયાન રાજ્યના સર્વાંગી અને સમતોલ વિકાસ માટે રાજ્યભરમાં કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવીને ખેતીક્ષેત્રે આમુલ પરિવર્તન આણ્યું છે. તેમણે ખેડૂતોને ખેત ઉત્પાદનમાં બિનજરૂરી ખાતરો, દવાઓ, બિયારણોનો વધુ પડતો ઉપયોગ ટાળીને પ્રાકૃતિક ખેત પદ્ધતિ અપનાવવાનો અનુરોધ કર્યો હતો.
આ કોન્કલેવ અંતર્ગત માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ દ્વારા દેશના તમામ ખેડૂતોને સંબોધન કર્યું હતું અને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું તથા માન.રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ તથા રાજ્યના મંત્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતમાં રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો અને પ્રાકૃતિક ખેતી અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર પ્રવિણ રાંકે પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવી અને પ્રાકૃતિક ખેતીથી થતાં ફાયદા વિશે ઉપસ્થિત ખેડૂતોને માહિતગાર કર્યા હતાં.
જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી જીગર ભટ્ટએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમમાં ખેતીવાડી ખાતાના વિવિધ વિભાગના અધિકારીગણ તથા ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.
રીપોર્ટ: મનિષ કંસારા