બાળકોમાં શિસ્ત સાથે સાહસવૃત્તિ ખીલવવા વનભ્રમણના કાર્યક્રમો પણ જરૂરી છે : સ્કાઉટ કમિશ્રર અતુલ દીક્ષિત

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સંયુક્ત ઉપક્રમે સ્કાઉટ ગાઈડ દ્વારા વન ભ્રમણ કાર્યક્રમ અંતર્ગત બાલ સમુદ્ર મંદિર, રાજેન્દ્ર નગરપાસે આવેલા આડા હાથરોલના જંગલોમાં પ્રવાસ,મુલાકાત યોજવામા આવી હતી. બાળકોમાં નાનપણથી જ સાહસ વૃત્તિ વધે, જંગલમાં રહેલી વનૌષધિઓ અંગે જાણકારી મળે, બાળકમાં રહેલો ડર દૂર થાય, શારીરિક રીતે પણ કસાઈને મજબૂત થાય, સ્વછતાના પણ આગ્રહી બને તેવા હેતુઓને ધ્યાને લઇ આ વનભ્રમણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લાના સ્કાઉટ ગાઈડ ચીફ કમિશનર શ્રી અતુલભાઈ દીક્ષિતે વધુમાં જણાવ્યું કે એટલું જ નહીં પણ આવા કાર્યક્રમો થકી બાળકમાં શિસ્ત, નિયમિતતા, સહનશીલતા, નીતિમત્તા, વફાદારી, લીડરશીપ વગેરે ગુણો નો વિકાસ સ્કાઉટીંગ પ્રવૃત્તિ દ્વારા કરી શકાય છે.
વન ભ્રમણ કાર્યક્રમ દરમ્યાન હાઇકીંગ દસ કિલોમીટર, સ્કાઉટ પ્રાર્થના, જંડા ગીત, વન ભોજન, સ્વામીજી ના આશીર્વાદ, સ્વચ્છતા અભિયાન અંતર્ગત જંગલમાં રહેલ પ્લાસ્ટિક અને કચરાની સાફ સફાઈ કરવામાં આવી હતી. સ્કાઉટ ગાઈડ ગીત રજૂ કરાયા હતા. ગાઈડ કમિશનર શ્રીમતી ભારતીબેન ચૌધરી, ઓર્ગેનાઈઝર કમિશનર શ્રી નીતિનભાઈ ગુર્જર, બિપીનભાઈ તબીયડ, પંકજભાઈ નાયક, અરવલ્લી જિલ્લા ચીફ કમિશનર શ્રીમતી સંગીતાબેન સોની, કિરણબેન પટેલ, નરોત્તમભાઇ પટેલ, તથા વિવિધ સંસ્થાઓના સ્કાઉટ માસ્ટર શ્રીઓ અને ગાઈડ કેપ્ટ્ન જોડાયા હતા. આ કાર્યક્રમમાં બંને જિલ્લા માંથી કુલ 150 સ્કાઉટ ગાઈડ બાળકો અને પંદર સ્કાઉટર ગાઈડરએ ભાગ લીધો હતો.